આજે સરકાર સાથે સમાધાન માટે પાટીદારોની બેઠક, હાર્દિકે શું ઉચ્ચારી ચિમકી?
સરકાર તરફથી પાસને આમંત્રણ મળ્યા પછી ગાંધીનગરમાં પાસના આગેવાનોની મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગ પછી પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે. જોકે, આજે બેઠક મળે પછી શું નિર્ણય આવે છે, તે જોવાનું રહેશે.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા ભાજપ સરકાર દ્વારા ફરી એકવાર પ્રયાસ શરૂ કરાયા છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા સરકાર વતી પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, લાલજી પટેલને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
આ બેઠકમાં કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની સરકાર સાથે બેઠક થવાની છે. જોકે, બેઠક પહેલા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, જો ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કે પછી કોઈ પણ હોદ્દેદાર બેઠકમાં હાજર રહેશે તો ચર્ચા રદ્દ કરી દેવામાં આવશે.