વાંસદામાં એક જ રાતમાં ભૂકંપના 12 આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ
વાંસદા તાલુકામાં રવિવારે બપોરે 12.17 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 2.3 જેટલી નોંધાઇ હતી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચના સૂત્રોના જણાવ્યા મુજબ ભુકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી પૂર્વ ઉત્તર પૂર્વ (ENE) 41 કિલોમીટર નોંધાયું છે. ઉંડાઇ 15.9 કિલોમીટર હતી. ઉલ્લેખનીય છે કે ગત 26 મીનાં રોજના ભૂકંપની તીવ્રતા 2.9 અને 30 મીનાં રોજના ભુકંપની તીવ્રતા 1.6 વાંસદા તાલુકામાં રહી હતી.
વાંસદાઃ ગઈ કાલે રવિવારે એક જ રાતમાં ભૂકંપના 12-12 આંચકા આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રવિવારે બપોરે 12.15 કલાકથી 12.17 દરમિયાન ત્રણ મિનિટમાં ધડાકા સાથે ભૂકંપના ત્રણ મોટા આંચકા આવતા વાંસદામાં લોકો ઘરોની બહાર આવી ગયા હતા. વાંસદા તાલુકામાં છેલ્લા દસેક દિવસથી ભૂકંપના હળવાથી ભારે આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
વાંસદાનાં લીમઝર, ઉમરકુઇ તથા વાંસદા ગામમાં બપોરે 12.15 થી 12.17 નાં સમયગાળામાં ભૂકંપના મોટા આંચકા આવ્યા હોવાનો લોકોને અનુભવ થયો હતો. વાંસદા જૂના દરબારમાં 11.17 કલાકે ધડાકા સાથે ભૂકંપનો જોરદાર આંચકા આવતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હોવાના સમાચાર લોકો પાસેથી મળ્યા હતા.
છેલ્લા ઘણાં દિવસથી વાંસદા તાલુકો અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈ કાલે રાતે વાંસદા તાલુકાના લીમઝર, ઉમરકુઇ, કાવડેજ, કેલીયા સહિતના કેટલાક ગામોમાં 12 જેટલા નાના મોટા ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી મળી છે.