હાર્દિક પટેલે સીદસરમાં યોજ્યો રોડ શો, ભાજપના પાટીદાર ધારાસભ્યો અંગે શું કરી કોમેન્ટ?
જામજોધપુર: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ગઈ કાલે રવિવાર સીદસરથી જામજોધપુર સુધી રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. રોડ શો દરમિયાન હાર્દિક પટેલે 42 પાટીદાર ધારાસભ્યો પર વાક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓ ભાજપથી ડરે છે. સમાજ માટે કશું બોલી શકતા નથી.
રોડ શો પછી જામવાલી ગામે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. તેણે કહ્યું હતું કે, અનામત આંદોલન ચાલુ કર્યા બાદ હું રાજદ્રોહના ગુનામાં જેલમાં ગયો હતો. જો પાટીદાર સમાજના 500 ઉદ્યોગપતિઓ અને 42 ધારાસભ્ય મારી સાથે હોત તો આ સરકારને ઉથલાવી નાખત. પરંતુ પાટીદાર ધારાસભ્યો ભાજપથી ડરે છે, પાટીદાર સમાજ માટે કશું બોલી શકતા નથી. હું રાજનીતિ કરવા નથી આવ્યો.
તેણે જણાવ્યું હતું કે, તાનાશાહી સામે સતત લડત ચાલુ રહેશે અને અનામત આજ નહીં તો બે-ચાર વર્ષમાં મળશે તેમ કહ્યું હતું. હાર્દિક પટેલે રવિવારે સીદસર માતાજીના મંદિરે દર્શન કરી ગીંગણીથી જામજોધપુર સુધી રોડ શો કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર હાર્દિકના રોડ શો પાટીદારોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતાં.