કાળઝાળ ગરમીમાં તળાવો ઊંડા કર્યા! હવે શિક્ષકો ગુજરાતમાં અહીં માપશે વરસાદ!
ખંભાતઃ ઉનાળાના વેકેશન દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષકો પાસે તળાવો ઉંડા કરવાના કામમાં શ્રમદાન માટે ફરજ પાડતા પરિપત્ર બાદ હવે ગુજરાત સરકારે શિક્ષકોને ચોમાસામાં કેટલો વરસાદ પડ્યો તેની માપણી કરવાનો નવો આદેશ બહાર પાડ્યો છે. ખંભાતના શિક્ષકોને મામલતદાર કચેરી ખાતે ચાલુ કરાયેલા કંન્ટ્રોલ રૂમમાં પૂર, વાવાઝોડા અને વરસાદની માહિતી માટે ટેલિફોન રિસિવ કરવા અને વરસાદના આંકડા માપવાની કામગીરી સોંપવાનો આદેશ અપાતા શિક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
ખંભાત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા ખંભાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને આદેશે કરતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. શિક્ષક અગ્રણી એસ.એમ પટેલે જણાવ્યું હતું કે,શાળામાં ગણિત વિજ્ઞાન-ભાષા વિષયની તાલીમો પછી ચૂંટણી,સ્વચ્છતા અભિયાન,પ્રવેશોત્સવ,યોગદિન,શ્રમદાન, રેલીઓ અને ઉજવણીઓ બાદ શિક્ષકોને આ નવું કામ આપવામાં આવ્યું છે.