‘નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમીત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા તૈયાર છીએ ’
સભાને સંબોધતાં હાર્દિકે આક્રમક તેવર અપનાવીને કહ્યું કે, ભાજપે પાટીદારોનો ઉપયોગ કરીને 25 વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે અને હવે આ લોકોને ઘેર કાઢવાના છે. તેણે કહ્યું કે, અમદાવાદમાં થયા હતા તેવા હાલ અહીં પણ સભા પુરી થયા પછી થઇ શકે છે તો સાચવજો.
આ સન્માન બાદ તેમના બલિદાનને એળે ન જવા દઇ પાટીદાર સમાજને અનામતના હક્ક પ્રાપ્તિ માટે ફરીથી આક્રમક બનવા હાકલ કરી હતી. આંદોલન તોડવાના પ્રયાસો કેટલાક રાજકારણીઓ દ્વારા થઇ રહ્યા છે તેને પણ વખોડી કાઢવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર જનમેદની ઉમટી પડી હતી.
હાર્દિકે કહ્યું કે, આ લડાઇ લડવી પડશે. પાછા પડીએ તો માનું ધાવણ લાજે. રાક્ષસી સરકાર સામે લડવાના કોઠા મેં જેલમાં બેઠાં બેઠા શીખ્યા છે. પોલીસ કોઇના બાપની જાગીર નથી. ભાજપ વાળા તેમ સમજે છે, પાટીદારો પર અત્યાચાર કરનારા પાસેથી બદલો લેવાનો છે પછી ભલે ટુ સ્ટાર હોય કે થ્રી સ્ટાર હોય.
હાર્દિકે કહ્યું કે, અમે સિંહણનાં બચ્ચાં છીએ, માયકાંગલા નથી. પાટીદાર સમાજની ઇજ્જત અને આબરુને ધ્યાને રાખીને અમે કામ કરી રહ્યા છીએ પણ અનામત તો આપવી જ પડશે. નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમીત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા માટે અમે તૈયાર છીએ.
પાટણ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ અને એસપીજીના વડા લાલજી પટેલ સહીતના નેતાઓ શનિવારે પાટણ ખાતે એક મંચ પર આવ્યા હતા. દેશ માટે સરહદ પર શહીદ થયેલા જવાનો અને અનામત આંદોલનમાં માર્યા યેલા પાટીદાર યુવાનોના પરિવારોનું આ કાર્યક્રમમાં સન્માન કરાયુ હતું.