વડાપ્રધાન મોદી આ મહિને જ ગુજરાત આવશે, જાણો ક્યારે થશે આગમન અને ક્યાં શહેરોમાં છે કાર્યક્રમ ?
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ મહિને જ તેમનો ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. આ પહેલા પીએમ મોદી ગત મહિને 21મી તારીખે ગુજરાત આવવાના હતા પણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે પોતાના પ્રવાસ રદ કર્યો હતો. હવે આગામી 23 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેશે.
દક્ષિણ ગુજરાતના કાર્યક્રમો પતાવીને મોદી સૌરાષ્ટ્ર તશે અને જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદઘાટન કરશે. આ ઉપરાંત મોદી એ જ દિવસે સાંજે ગાંધીનગર ખાતે યોજાનારા ફોરેન્સિક યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી અંગે પછી નિર્ણય લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકો માટે બનાવાયેલાં મકાનો લાભાર્થીઓને ફાળવશે. એ પછી મોદી ધરમપુર જશે અને ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કરશે.
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ, ધરમપુર, જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે. 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો જમાવવા માટેની વ્યૂહરચનાના ભાગરૂપે હવે મોદીની ગુજરાતની મુલાકાતો વધશે.