યોગી આદિત્યનાથને ગુજરાત આવતા કેમ રોકવામાં આવ્યા? જાણો ભાજપની અંદરની વાત
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ ગુજરાતની પહેલી મુલાકાતમાં વડોદરા આવશે અને સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરપુરષોત્તમ સંસ્થાના સર્વેસર્વા હરિપ્રસાદ સ્વામીના 84મા જન્મદિને યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે આવશે તેવા અહેવાલો આવતાં ભારે ઉત્તેજના સર્જાઈ હતી.
અમદાવાદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક બનાવાશે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. બીજી તરફ યોગી આદિત્યનાથ 14 મે ના રોજ ગુજરાત આવશે તેવા અહેવાલ પણ આવ્યા હતા પણ આદિત્યનાથ ગુજરાત ના આવતાં આશ્ચર્ય સર્જાયું છે.
જો કે રવિવારે યોગી આદિત્યનાથ ગુજરાત ના આવતાં આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. યોગીની ગુજરાત મુલાકાત રદ થવાનું કારણ તેમની વધતી લોકપ્રિયતા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમનંત્રી બન્યા પછી યોગી છવાઈ ગયા છે અને તેમની લોકપ્રિયતા ભાજપના બીજો કોઈ પણ નેતા કરતાં વધારે થઈ ગઈ છે.
ભાજપમાં આ કારણે ચિંતા પ્રવર્તી રહી છે અને યોગીને કઈ રીતે વેતરવા તેની વિચારણા ચાલી રહી છે. ગુજરાત ભાજપના નેતાઓ પણ ચિંતામાં છે કેમ કે યોગી ગુજરાત આવે તો મીડિયામાં છવાઈ જાય અને સ્થાનિક નેતાઓ બાજુ પર રહી જાય. તેથી તેમણે હાઈકમાન્ડ પર દબાણ લાવીને યોગાની યાત્રા રદ કરાવી હોવાના અહેવાલ છે.
ભાજપ હાઈકમાન્ડે યોગીને પોતાની કર્મભૂમિ ઉત્તર પ્રદેશ અને વધુમાં વધુ હિન્દી બેલ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી દેવાની સૂચના આપી છે. યોગીની લોકપ્રિયતા એટલી વધી છે કે તે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લોકપ્રિયતાના મામલે સીધી ટક્કર લઈ રહ્યા છે. તેના કારણે પણ હાઈકમાન્ડ ચિંતામાં છે.
રવિવારે હરિધામ સોખડા ગોગ ડીવાઇન સોસાયટીના સર્વે સર્વા હરિપ્રસાદ સ્વામીના 84મા જન્મદિવસ નિમિતે, શહેર નજીક આવેલ નેશનલ હાઇવે-8 પરના સ્વીચ એકસપો ગ્રાઉન્ડ ખાતે યોગી ડિવાઇન સોસાયટીના દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.