મમતા બેનર્જી બાદ ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ‘આધાર’નો વિરોધ, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા માટે છે જોખમી
નવી દિલ્હીઃ મમતા બેનર્જી બાદ હવે આધારને ફરજિયાત કરવા પર ભાજપની અંદરથી જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આધાર મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આધાર પર સવાલ ઉભા કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ આધારને સુરક્ષા માટે જોખમી ગણાવ્યું છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, તે આ મામલે પ્રધાનમંત્રીને પત્ર લખશે.
મમતા બેનરજીએ આ વિરોધ પાછળ ઘણાં કારણ વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમે આધારને મોબાઈલ સાથે લિંક કરશો તો તેમને ઘણી બધી માહિતી મળી જશે. તમે ઘરમાં શું ખાઈ-પી રહ્યા છો, પતિ-પત્ની શું વાત કરી રહ્યા છે તે બધુ તેમને ખબર પડી જશે. આમ, મોબાઈલને આધાર સાથે લિંક કરવાથી કોઈ પ્રકારની પ્રાઈવસી રહેશે નહીં.
સ્વીમીએ ટ્વીટ કર્યું, હું પ્રધાનમંત્રીને ટૂંકમાં જ એક પત્ર લખવાનો છું જેમાં આધાર દેશની સુરક્ષા માટે જોખમી છે તે કહીશ. મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ તને ફરજિયાત ન કરવા માટે પગલા લેશે.
આ પહેલાં આધાર કાર્ડને મોબાઈલ સાથે લિંક કરવાના મામલે પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનરજીએ પણ વિરોધ કર્યો હતો. મમતા બેનરજીએ પડકાર કર્યો હતો કે તેઓ આધાર કાર્ડ સાથે મોબાઈલ ફોન લિંક નહીં કરાવે અને મોબાઈલ કંપનીને તેમનું કનેક્શન બંધ કરવું હોય તો પણ વાંધો નથી. આ મામલે મમતા બેનરજી સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે, કેવી રીતે કોઈ રાજ્ય સરકાર કાયદાનો વિરોધ કરી શકે? કોર્ટે મમતા બેનરજીને એક વ્યક્તિ તરીકે કોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું છે.