આતંકી હુમલા બાદ પણ અમરનાથ યાત્રા યથાવત, હર-હર મહાદેવ...ના જયકાર સાથે યાત્રીઓનો જથ્થો થયો રવાના
નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા રોકવાના ઈરાદાથી શ્રદ્ધાળુઓ પર ગોળીબાર કરનાર આતંકવાદીઓને શિવ ભક્તોએ મંગળવારે સવારે જડબાતોડ જવાબ આપ્યો. સોમવારે મોડી સાંજે આતંકી હુમલામાં 7 તાર્થ યાત્રિઓના મોત બાદ પણ મંગળવારે સવારે 3 કલાકે જમ્મૂથી પહલગામ અને બાલટાલ માટે અમરનાથ યાત્રા માટે લોકો રવાના થયા. શ્રીનગરમાં થયેલ હુમલા બાદ કડક સુરક્ષાની વચ્ચે બેચ રવાના થઈ. ભોલે બાબાના દર્શનને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવ ભક્તો જોશ સાથે હર-હર મહાદેવ...બમ ભોલે જેવા જયકાર લગાવતા બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધી ગયા.
સોમવારે શ્રીનગર કાશ્મીરના અનંતનાગમાં રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. અંધાધૂંધ ફાયરિંગમાં સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 12 લોકોની હાલત ગંભીર છે. ખાસ કરીને મૃતકોમાં 6 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે આર્મીએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે, જ્યારે આતંકી હુમલાને પગલે ચારે બાજુ અફરાતફરીના દ્વશ્યો સર્જાયા છે. તમામ મૃતકો ગુજરાતીઓ હોવાને લીધે અમરનાથ યાત્રાએ ગયેલા અન્ય ગુજરાતી યાત્રિકોના પરિવારજનોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.