મોદી-અમિત શાહના કારણે ભારત બની ગયો છે પીરામિડ માફિયા દેશ, ભાજપના ક્યા નેતાએ કર્યો આક્ષેપ, જાણો
નવી દિલ્લીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં અરૂણ શૌરીએ પીએમ મોદીનું 2014માં સમર્થન કરવાને પોતાના જીવનની બીજી સૌથી મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધીની વિરૂદ્ધ વીપી સિંહનું સમર્થન કરવું તે તેના જીવનની પ્રથમ સૌથી મોટી ભૂલ હતી તો 2014માં મોદીનું સમર્થન બીજી ભૂલ છે. અરૂણ શૌરીએ એક અંગ્રેજી વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે.
ગુજરાતના રમખાણો અંગે અરૂણ શૌરીએ કહ્યું કે, અટલજી ઘણા દુઃખી હતા અને તેઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, અટલજી એ એક રેફયુજી કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યારપછી અમારે તરત જ સિંગાપુર અને કંબોડીયા જવાનુ હતુ. તે વખતે બ્રિજેશ મિશ્રાએ મને કહ્યુ હતુ કે, અટલજી પાસે જાવ તેઓ ઘણા અપસેટ છે. તે પછી હું તેમની પાસે ગયો હતો અને તેઓ માથુ પકડીને બેઠા હતા. મેં પુછયુ કે તમે અપસેટ શા માટે છો? ત્યારે તેઓ રડવા લાગ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું કયા મોઢે મારી સિદ્ધિઓ વર્ણવીશ. એક એવુ મોટુ કલંક મારી સરકારને લાગી ગયુ છે. તે વખતે મેં કહ્યું હતું કે, તમે પ્લેનમાંથી ઉતરી અડવાણીજીને કહો કે મોદીને રાજીનામુ આપવા જણાવે, આમા કોઇ મોટી વાત છે તો અટલજી સાવ શાંત થઇ ગયા હતા. તેમણે ફોન ન કર્યો. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, કારોબારીની મીટીંગમાં મોદીએ રાજીનામુ આપી દેવાની ઇચ્છ વ્યકત કરી હતી પરંતુ ૧૦ થી ૧પ લોકોએ બીલકુલ નહી, શું કામ આપે, કઇ ખોટુ થયુ નથી તેવા નારા લગાવ્યા હતા પરંતુ અડવાણીએ મોદીને બચાવી લીધા હતા. જેનાથી અટલજી દુઃખી હતા.
અરૂણ શૌરીએ એવો આરોપ મુકયો હતો કે, મોદી અને અમિત શાહે ભાજપનું ઇન્દિરાકરણ કરી નાખ્યુ છે. તમે મોદીની કેબીનેટમાં જુઓ તો ખ્યાલ આવશે કે મોદી અને શાહ જ સર્વેસર્વા છે. કોઇ પક્ષ નથી માત્ર મોદી અને શાહ જ છે. તમે મુખ્યમંત્રીઓની પસંદગી જુઓ તો વિજય રૂપાણી, ફડણવીસ, ખટ્ટર આ એવા લોકો છે કે જેમનો કોઇ બેઇઝ નથી. આ બધા લોકો કેન્દ્રના આ બે નેતાઓ ઉપર આધારીત છે. અમિત શાહ અને મોદી જ મુખ્યમંત્રીની પસંદગી કરે છે ધારાસભ્યો નહી. તેમણે એવુ પણ જણાવ્યુ હતુ કે, સરકારમાં નિર્ણય શકિત આરએસએસ પાસે છે. મોદી અને અમિત શાહ બંને સંઘના સિધ્ધાંતોને વરેલા છે અને એ જ સિધ્ધાંતો તેઓના છે.
અરૂણ શૌરી અનુસાર દેશમાં વિકેન્દ્રીકૃત જેવી સ્થિતિ છે. આપણે એક પિરામીડ વિકેન્દ્રીતકૃત માફીયા રાષ્ટ્ર તરફ જઇ રહ્યા છીએ કે જયાં સ્થાનિક ગુંડાઓ કે જેમને લાગે કે, કંઇક ખોટુ થઇ રહ્યુ છે તો તમને મારવામાં આવશે. આવી સ્થિતિમાં આ ગુંડાઓને કેન્દ્રીય લોકો છાવરશે જેમ કે ગૌરક્ષકો. તેમણે આ અંગે ગૌરક્ષક, લવજેહાદ વગેરેનો દાખલો આપ્યો હતો.
એવુ લાગે છે કે દેશમાં ઇન્દિરા ગાંધીના સમયની કટોકટી ચાલી રહી છે. એ વખતે ઇન્દિરા ગાંધીનું નામ કાયદા તરીકે લેવાતુ હતુ. હવે એ કાયદો નથી પરંતુ આ લોકોને કાયદાની બહાર અભિનય કરવા દેવામાં આવે છે. એવી સ્થિતિ છે કે હું જ કાયદો છુ. તેમણે કહ્યુ હતુ કે, ભુતકાળમાં મે મોદીને ટેકો આપ્યો-તેમનો પ્રચાર કર્યો એ મારી મોટી ભૂલ હતી. મોદીને ટેકો આપ્યો એ મારા જીવનની બીજી મોટા-મોટી ભૂલ હતી. હાલની સરકારથી હું ગળે આવી ગયો છું. રાજીવ ગાંધીના વખતમાં અમે વી.પી.સિંહને ટેકો આપ્યો હતો. ચંદ્રશેખરની ચેતવણીને અવગણીને મે વી.પી.ને ટેકો આપ્યો હતો તે પણ મારી ભૂલ હતી.
તેમણે વધુમાં કહ્યું છે કે દેશમાં કટોકટી જેવી સ્થિતિ છે અને દેશની છાપ પીરામીડ માફીયા દેશ તરીકે ઉપસી રહી છે. તેમણે આરોપ મુકયો છે કે, મોદીનો વિરોધ કરો તો તમને જુદા-જુદા કેસમાં ફસાવી દેવામાં આવે છે. તેમણે આ અંગે પ્રદિપ શર્મા અને તિસ્તા સેતલવાડનો દાખલો પણ આપ્યો છે. મોદી અને અમિત શાહે ભાજપનું 'ઇન્દિરાકરણ' કર્યુ છે. કોઇ પક્ષ નથી એક માત્ર મોદી અને અમિત શાહ સર્વેસર્વા છે. દેશમાં એવુ લાગુ છે કે આરએસએસ સત્તા ઉપર છે.