લોકોને મોટી રાહતઃ ATM-કરંટ ખાતામાંથી ઉપાડની મર્યાદામાં જંગી વધારો, જાણો કેટલા રૂપિયા ઉપાડી શકાશે
નાણા મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના મોટાભાગના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ચલણી નોટો પહોંચી ગઈ છે. છેલ્લા શુક્રવારના રેકોર્ડ મુજબ 10 લાખ કરોડ રૂપિયાની નવી નોટ સિસ્ટમમાં નાંખી દેવામાં આવી છે અને લગભગ 1 લાખ કરોડ રૂપિયાની નોટ દેશની વિવિધ કરન્સી ચેસ્ટમાં છે. બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, દક્ષિણનાં રાજયો, પૂર્વોત્તરનાં રાજયો, દિલ્લીમાં હવે બેંક કે એટીએમની બહાર કયાંય લાઇનો નથી.. અન્ય વિસ્તારોમાં એક સપ્તાહમાં પૂરતી રોકડ પહોંચાડી દેવાશે તેથી ત્યાં પણ લાઈનો નહી રહે. આ રીતે બજેટ રજૂ થાય તેના એક-બે દિવસ પહેલા રોકડ-ઉપાડની મર્યાદા હટાવી લેવાશે.
નવી દિલ્હી: રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને રાહત આપતો એક મોટો નિર્ણય લઈને સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટમાંથી ઉપાડની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે હવે સેવિંગ્સ એકાઉન્ટધારક એક સાથે 10 હજાર રૂપિયા ઉપાડી શકશે. અત્યારે આ મર્યાદા રોજના 4500 રૂપિયા છે. બીજી તરફ કરંટ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડની મર્યાદા પણ વધારાઈ છે. હાલમાં કરંટ એકાઉન્ટમાંથી દર સપ્તાહે 50 હજાર રૂપિયા ઉપાડી શકાય છે. તેના બદલે હવેથી એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયા ઉપાડી શકાશે. સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર અઠવાડિયે 24,000 રૂપિયાના ઉપાડની મર્યાદા યથવાત રખાઈ છે.
દેશભરમાં નવી ચલણી નોટોના પુરવઠામાં નોંધપાત્ર સુધારો થઇ જતાં કેન્દ્ર સરકાર નોટોના ઉપાડ પર લાગેલી મર્યાદા હટાવી હજુ લોકોને વધુ રાહતો આપવા વિચાર કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ મર્યાદા 30 જાન્યુઆરીથી હટાવી લેવાય તેવી શક્યતા છે. અલબત્ત આ મર્યાદા બે તબક્કામાં હટાવાશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કામાં બેંકની શાખાઓમાંથી ચેક કે ફોર્મ દ્વારા રોકડ ઉપાડવાની મર્યાદા હટાવી લેવાશે. નોટબંધી પહેલાં આ રીતે ગમે તેટલી રોકડ ઉપાડી શકાતી હતી. હવે પહેલાં જેવી સ્થિતી કરવા વિચાર કરવામાં આવી રહ્યો છે અને બજેટ પહેલાં તેનો નિર્ણય લઈ લેવાશે. આ નિર્ણયના એક પખવાડિયા બાદ એટલે કે 15 ફેબ્રુઆરીની આસપાસ એટીએમમાંથી રોકડ ઉપાડ પરની મર્યાદા હટાવી લેવાશે અને 8 નવેમ્બર 2016 પહેલાં રોજના 40,000 રૂપિયાની મર્યાદામાં એટીએમમાંથી રોકડ ઉપાડી શકાતી. 15 ફેબ્રુઆરી સુધીમાં અગાઉની સ્થિતિ બહાલ કરી દેવાશે તેમ આ સૂત્રોએ જણાવ્યું છે.
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. વિપક્ષોનું કહેવું છે કે નોટબંધી અને તેના કારણે લોકોને થયેલી પરેશાનીનો મુદ્દો એજન્ડામાં સૌથી ઉપર છે. આ જ કારણે સરકાર રોકડ ઉપાડની મર્યાદા સંસદનું સત્ર મળે તે પહેલાં ઉપાડી લેવા માગે છે કે જેથી સંસદમાં જવાબ ના આપવો પડે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ પણ અત્યારે બેંક ખાતામાંથી રોકડ ઉપાડને લઇને જે સીમા છે તે લાંબો સમય રખાય તેમ નથી. હાલ રોકડ ઉપાડની સીમા સપ્તાહમાં 24,000 રૂપિયા અને એટીએમમાંથી ઉપાડની મર્યાદા 4500 રૂપિયા છે. નોટ પુરવઠા અંગે સરકાર અને રિઝર્વ બેંક હવે નિશ્ચિંત છે તેથી આ મર્યાદા હટશે જ.