લોકો તૈયાર રહે નવા આકરા ડોઝ માટેઃ ATMમાં ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટીને કેટલા થશે ? ચાર્જ વધીને કેટલો થશે ? જાણો
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના અધિકારીઓ માને છે કે ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટશે અને ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વધશે તો તેના કારણે લોકો કાર્ડ વાપરતા થઈ જશે અને રોકડના વપરાશ પર આપોઆપ અંકુશ આવી જશે. જો કે કેન્દ્રની આ યોજનાના કારણે લોકોની પરેશાની વધશે એ કહેવાની જરૂર નથી.
હાલમાં મોટા ભાગની બેંકો પોતાની બેંકના ડેબિટ કાર્ડ દ્વારા મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ ચાર્જ લગાવતી નથી. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે આ ફ્રી ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટાડીને ત્રણ કરી દેવાશે. બેંકો દ્વારા આ દરખાસ્ત મૂકવામાં આવી હતી ને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાનું મનાય છે.
આ ઉપરાંત ફ્રી ટ્રાન્ઝેક્શન્સ પછીનાં ટ્રાન્ઝેક્શન્સ પરનો ચાર્જ પણ વધારવાની વિચારણા છે. હાલમાં બેંકના પોતાના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરાય તે પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ 20 રૂપિયા ચાર્જ લેવાય છે. તેના પર સર્વિસ ટેક્સ તથા અન્ય ટેક્સ લેવાય છે. આ ચાર્જ વધારીને 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ કરવાની વિચારણા છે.
કેન્દ્ર સરકાર આ મર્યાદા ઘટાડવા માગે છે તેનું કારણ એ છે કે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં વધારો કરવા માગે છે. લોકો એટીએમમાંથી રોકડ ઉપાડીને વાપરે તેના બદલે કાર્ડથી કે ઈન્ટરનેટથી ટ્રાન્ઝેક્શન્સ તરફ વળે એવું સરકાર ઈચ્છે છે. એટીએમમાંથી ઉપાડ પર ટેક્સ લાગશે તો લોકો એ રસ્તો અપનાવશે તેવું સરકારને લાગે છે.
નવી દિલ્હીઃ એક તરફ કેન્દ્ર સરકાર રોકડ ઉપાડની મર્યાદા હટાવવાનું વિચારી રહી છે ત્યારે બીજી તરફ એટીએમમાંથી ઉપાડ પર ચાર્જ વધારવાની પણ યોજના છે. આ યોજના અંતર્ગત હાલમા દર મહિને ફ્રી ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટાડી દેવાશે અને એ પછીનાં ટ્રાન્ઝેક્શન્સ પરનો ચાર્જ પણ વધારી દેવાશે.
હાલમાં મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, બેંગલુરૂ અને હૈદરાબાદમાં અન્ય બેંકના ગ્રાહકો માટે ત્રણ ફ્રી ટ્રાન્ઝેકશન્સ છે જ્યારે બીજા શહેરોમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેકશનની છૂટ છે. નવેમ્બર 2014થી આ નિયમો અમલમાં છે. હવે તેમાં પણ ઘટાડો કરી દેવાશે અને ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરી દેવાશે.