UP: બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 9નાં મોત, સંબંધીના ઘરે આવ્યા હતા લગ્નમાં
લખનઉઃ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક સંબંધીના ઘરે લગ્ન સમારંભમાં સામેલ થયેલા લોકો પૈકી 9નાં ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. આ તમામ લોકો અલગ-અલગ ગામથી આવ્યા હતા. પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ મામલો બારાબંકીના તાલ ખુર્દ ગામનો છે.
બારાબંકીના એડીએમ અનિલ કુમારે કહ્યું કે, એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકથી થયું છે અને તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો છે. જ્યારે બાકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયતમાં કોઈ સુધારો થતો જોવા મળી રહ્યો નથી.
બુધવારે સાંજે આ તમામ લોકો તેમના સંબંધીને ત્યાં એક સમારોહમાં સામેલ થવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન તમામ લોકોએ દારૂ પીધો. જે બાદ એક પછી એક એમ અનેક લોકોની તબિયત બગડવા લાગી અને તમામને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. જેમાંથી 9 લોકોના મોત થયા હતા.