RSSના કદાવર નેતા રહી ચુક્યા છે રામનાથ કોવિંદ, એકપણ વાર નથી જીત્યા ચૂંટણી
વર્ષ 1990માં કોવિંદ યૂપીના ઘાટમપુર લોકસભા બેઠક પરથી અને 2007માં ભોગનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોવિંદ ભાજપના મહામંત્રી પણ રહી ચુક્યા છે.
નવી દિલ્લી: ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમિત શાહે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી છે. લોકતંત્રના સર્વોચ્ચ પદ માટે ભાજપ અને એનડીએએ તમામ પક્ષો સાથે ચર્ચા અને વિચારણા કરી હતી.
રામનાથ કોવિંદ અત્યાર સુધી કોઈ વિવાદમાં ફસાયા નથી, તેમની છબી એકદમ સાફ છે. કોવિંદ સંધના કદાવર નેતા રહી ચુક્યાં છે. તેઓ જજ સિવાય અનેક લીગલ પદો પર કામ કરી ચુક્યા છે.
વ્યવસાયે વકીલ કોવિંદ 1994થી લઈને 2006 સુધી બે વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ 1998થી 2002 વચ્ચે દલિત મોર્ચાના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા કોળી સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કામ કરી ચુક્યા છે.
રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડેરાપુર તાલુકાના પરોંખ ગામમાં થયો હતો. 1977થી 1979 સુધી તેઓ દિલ્લી હાઈકોર્ટમાં કેંદ્ર સરકારના વકીલ હતા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેંદ્ર તરફથી સ્ટેંડિંગ કાઉન્સેલ રહી ચુક્યા છે. બાદમાં 1993 સુધી દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. તેઓને 8 ઓગષ્ટ 2015ના બિહારના ગવર્નર બનાવાયા હતા. હાલ તેઓ બિહારના ગવર્નર છે.
અમિત શાહે કહ્યું, તેઓ એક દલિત છે, હંમેશા સંધર્ષ કરશે. બિહાર રાજ્યના ગવર્નર તરીકે તેઓ હાલ કામ કરી રહ્યા છે. રામનાથજી હંમેશા સમાજ, ગરીબો, અતિ પછાત, દલિતો સાથે જોડાયેલા રહ્યા છે. એક ગરીબ ઘરમાં જન્મ લઈને સંધર્ષ કરીને આટલા ઉંચા મુકામ પર પહોચ્યા છે. અમે આજે તેમનું નામ નક્કી કર્યું છે.