બિપ્લબ દેબે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપશ લીધા, પીએમ મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

અગરતલામાં બિપ્લબ દેબના શપશ સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકાર, ભાજપના વરિષ્ઠ નેતાઓ એલકે અડવાણી અને મુરલી મનોહર જોશી, ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
અગરતલાઃ બિપ્બલ દેબે આજે ત્રિપુરાના 10મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ તથાગત રોયે તેમને શપથ લેવડાવ્યા હતા. 48 વર્ષીય દેબે 6 માર્ચે રાજ્યપાલ તથાગત રાયને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જે બાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. ભાજપ-ઈન્ડીઝીનિયસ પીપલ્સ પાર્ટી ઓફ ત્રિપુરાના ગઠબંધને ગત સપ્તાહે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભવ્ય જીત મેળવી હતી અને 25 વર્ષના ડાબેરી શાસનને ઉખેડી ફેંક્યું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છ માર્ચે જાહેરાત કરી હતી કે જિશનુ દેબબર્મા રાજ્યના ઉપમુખ્યમંત્રી હશે. દેબબર્માની સીટ પર ચૂંટણી સ્થગિત થઈ હતી. તેઓ ચારિલમ (અનુસૂચિત જનજાતિ) સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા અને આ સીટના સીપીએમ ઉમેદવારનું મોત થવાથી ચૂંટણી થઈ નહોતી. હવે આ સીટ પર 12 માર્ચે ચૂંટણી થશે.
આઇપીએફટીના અધ્યક્ષ એનસી દેબબર્માએ જણાવ્યું કે, પાર્ટીને નવા મંત્રીમંડળમાં બે ખાતા મળશે. આ બાબતનો ફેંસલો બીજેપી નેતા અને પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (એનઈડીએ)ના પ્રમુખ હેમંત બિસ્વા શર્મા સાથેની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ગુરુવારે બિપ્લબ દેબ અને રામ માધવે માણિક સરકારને શપથ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.
ભાજપના પ્રવક્તા મૃણાલ કાંતી દેબે જણાવ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વાત્તરમાં ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સહિત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી તથા સંસદીય બોર્ડના સભ્યો સામેલ થશે. લાંબા સમયથી આરએસએસના સ્વયંસેવક દેબ રાજ્યમાં ભાજપની જીતના સૂત્રધાર બન્યા હતા.