ભાજપના સાંસદ અને જાણીતા પૂર્વ ક્રિકેટર BJP છોડી કોંગ્રેસમાં થશે સામેલ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા લોકસભા સાંસદ અને જાણીતા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ કેસરિયો ખેસ છોડી કોંગ્રેસનો પંજો પકડશે. રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થશે. કીર્તિ આઝાદ બિહારની દરભંગા સીટ પરથી સાંસદ છે.
કીર્તિ આઝાદ કોંગ્રેસમાં સામેલ થયા બાદ અને દરભંગાથી ઉમેદવારી નોંધાવે તો મહાગઠબંધનના અનેક નેતાઓનું ચૂંટણી ગણિત બગડી શકે છે. આ સીટ પરથી વિકાસશીલ ઇંસાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહનીની દાવેદારી નિશ્ચિત માનવામાં આવે છે
આઝાદ કોંગ્રેસમાં સામેલ થયા બાદ દરભંગા જશે અને સમર્થકો, કાર્યકર્તાઓ સાથે બેસીને આગળની રણનીતિ તૈયાર કરશે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી સામે સતત નિવેદનો આપવાના કારણે ભાજપે 2015માં તેમને સસ્પેન્ડ કર્યા હતા. તેમના પિતા ભાગવત ઝા આઝાદ બિહાર કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા.