થિયેટર-એરપોર્ટ પર મિનરલ વોટરના ભાવ સામે સરકારની લાલ આંખ, જાણો શું આવશે નિયમ
નવી દિલ્લી: હવેથી હોટેલો, થિયેટરો, એરપોર્ટ કે મોલમાં પાણીના મન ફાવે તેવા ભાવ વસુલ કરી શકાશે નહીં. મિનરલ વોટર બોટલ તમામ સ્થળે એક જ ભાવે મળશે. તેના માટે તમારે વધારના પૈસા નહિ આપવા પડે. ગ્રાહક કન્ઝ્યુમર અફેર્સ મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે.
ગયા ઓકટોબરમાં પાસવાને જણાવ્યું હતું કે, એરપોર્ટ, મલ્ટિપ્લેકસ અને હોટેલ જેવા સ્થળોએ એમઆરપીથી ઉંચા ભાવે પેકેજ્ડ વોટર અને સોફટ ડ્રિન્કસના વેચાણ કરનાર સામે દંડ અને જેલ સહિતના કડક પગલા લેવામાં આવશે.
કંપનીઓ એક લીટરની બોટલ પર રૂ.પ૦-૬૦ વસુલે છે. વાસ્તવમાં, તેની કિંમત રૂ.૧૦-૧પ હોય છે. કંપનીઓ હોટેલ અને એરપોર્ટ જેવા સ્થળોએ વેચવા માટેની બોટલ પર વધુ કિંમત છાપતી હોવાનું મંત્રાલયના ધ્યાનમાં આવ્યું હતું.
ગ્રાહક બાબતોના મંત્રાલયમાં અલગ અલગ સ્થળોએ પાણીની બોટલના ભાવ અલગ અલગ રાખીને લોકોની સાથે છેતરપીંડી થતી હોવાની ઘણી ફરિયાદો થઇ હતી. મીનરલ વોટર બોટલ બનાવતી કંપનીઓ અલગ અલગ કિંમત છાપીને લોકો પાસેથી પૈસા વસૂલતી હતી. મંત્રાલયે કંપનીઓ પાસેથી આ અંગેનો જવાબ પણ માંગ્યો છે.