કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, હવે સરકારી સ્કૂલમાં લાગશે સીસીટીવી કેમેરા

નવી દિલ્હીઃ દિલ્હીની સ્કૂલોમાં બાળકો શું કરી રહ્યાં છે તે હવે ઘરે બેઠાં જ મા-બાપને ખબર પડી જશે. ગુરુગ્રામના રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પદ્યુમ્નની હત્યા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. માસૂમ વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીની બધી સરકારી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સીએમ કેજરીવાલ ગુરવારે સરકારી હોસ્પિટલની મુલાકાત લેવા નીકળ્યા હતા, તે દરમિયાન તેમને કહ્યું ‘છેલ્લા કેટલાક માહિનાથી અમે જોયું કે સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને કેટલીક ઘટનાઓ સામે આવી, જેમાં બાળકોની સુરક્ષાને લઇને ગંભીર પ્રશ્ન ઉભા થયા.’
નોંધનીય છે કે, કેજરીવાલ સરકાર શિક્ષણને લઇને ખુબ એક્ટિવ છે. સરકારના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની પ્રસંશા થાય છે.
સીએમે કહ્યું કે કેટલીક સ્કૂલોમાં પાયલટ પ્રૉજેક્ટના રૂપે આને ચલાવવામાં આવ્યો હતો જે સક્સેસ રહ્યો. આનાથી બાળકો, શિક્ષક, પ્રિન્સિપાલ પણ ખુશ હતાં. આનાથી આખી સિસ્ટમની જવાબદારી અને પારદર્શિતા પણ પારદર્શિતા બની રહેશે. આને હવે ટુંકસમયમાં આખી દિલ્હીની સરકારી સ્કૂલોમાં લાગુ કરી દેવામાં આવશે.
તેમને આગળ કહ્યું, ‘દરેક ક્લાસરૂમ, દરેક કૉરિડોરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને જે ક્લાસમાં તમારું બાળક ભણે છે તે ક્લાસનો રાઇટ તમને આપવામાં આવશે, જેથી પેરેન્ટ્સ તેને જોઇ શકે.’