બેંગલોરમાં કોંગ્રેસી ધારાસભ્યો વજુભાઈ વાળાને મળીને શું કરશે રજૂઆત? જાણો વિગત
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ભાજપને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને યાદ કરાવવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક વિધાનસભા જતા પહેલા કોંગ્રેસે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા કે જેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચુકયા છે તેમને મળવા માટેનો સમય પણ માંગ્યો છે.
ગુજરાત કોંગ્રેસના ૪ર ધારાસભ્યોને કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા સાથે સારા સંબંધો છે અને તેથી જ આ બધા તેમને મળવા ઇચ્છુક છે. એક ધારાસભ્યએ જણાવ્યુ છે કે વિધાનસભામાં વજુભાઇ વાળા અમારા સીનીયર રહી ચુકયા છે. અમે તેમની પાસેથી અનેક સંસદીય પ્રણાલી શીખ્યા છીએ. અમે તેમને મળવાનો સમય માંગ્યો છે. તેઓ પોતાના પક્ષના ધારાસભ્યોને સમજાવવાની ક્ષમતા પણ રાખે છે.
તેઓએ રાજયસભાની ચૂંટણીમાં ગેરરીતિઓ અપનાવી છે જેથી અમારે બેંગલુરુ આવવુ પડયુ છે. અમે અમારી શાંતિપુર્વકની પ્રાર્થનાઓથી ભાજપને અને ગુજરાતની જનતાને સંદેશો આપશુ કે ગાંધીજી શાંતિ અને આદર્શોમાં માનતા હતા. ભાજપે ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ કર્યુ છે તેથી અમારે પરાણે અહી આવવુ પડયુ છે. અમે ભાજપને યાદ દેવડાવવાનો પ્રયાસ કરશુ કે ગાંધીજી આ પ્રકારના કાર્યોમાં માનતા ન હતા.
બેંગલુરુથી ૬૦ કિલોમીટર દુર બિદાડી ગામે આવેલા ઇગલટન રિસોર્ટમાંથી કોંગ્રેસના એક ઉચ્ચ ધારાસભ્યએ મીડિયાને પોતાનુ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ હતુ કે, અમે કર્ણાટક વિધાનસભાની મુલાકાત લેવાનો અને મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરવાનો નિર્ણય લીધો છે. ભાજપે ગાંધીજીના નામે અનેક તહેવારો ઉજવવાનો પ્રયાસ કર્યો છે એટલુ જ નહી તેણે મહાત્મા મંદિરના નામે એક માળખુ પણ ઉભુ કર્યુ છે પરંતુ ભાજપના લોકો ગાંધીજીના આદર્શોનું પાલન કરતા નથી.
નવી દિલ્હી: ગુજરાતમાં પૂરની સ્થિતિ છે ત્યારે ત્યારે બેંગલુરુના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો મોજ કરી રહ્યા છે એવા આરોપો બાદ હવે કોંગ્રેસે એક નવી રણનીતિ બનાવી છે અને આવતીકાલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો કર્ણાટક વિધાનસભા સુધીની એક શાંતિકુચ યાત્રા યોજવાનો નિર્ણય લીધો છે. આ ધારાસભ્યો વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ મૌન પ્રદર્શન કરશે અને ભાજપને શાંતિ આપે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરશે.