સરકારી યોજનાઓમાં હવે 31 માર્ચ સુધી લિંક કરાવી શકાશે આધાર, પરંતુ આ છે શરત

સરકારનો પક્ષ મુકતા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, ‘આધાર કાર્ડની અનિવાર્યતા પર હવે રોક ન લગાવી શકાય કારણ કે હવે આ મુદ્દે સરકાર ઘણી આગળ નીકળી ચૂકી છે, તેમજ આ વાતને ઘણા વર્ષો વીતી ચૂક્યા છે.’ તેમણે કહ્યું કે, ‘કેંદ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. કેસની સુનાવણી દરમિયાન આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસને જલદી નિપટાવવાની માગ કરી હતી.’
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકોને રાહત આપતા સમાચાર આવ્યા છે. જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને હવે 31 માર્ચ 2018 સુધી લિંક કરાવી શકાશે. આ મામલે કેન્દ્ર સરકાર શુક્રવારે અધિસૂચના જાહેર કરીને આધારની અનિવાર્યતાની ડેડલાઈન વધારવામાં આવશે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે કે 31 માર્ચ સુધી માત્ર એ લોકો જ આધાર લિંક કરાવી શકશે જેની પાસે 31 ડિસેમ્બર સુધી આધાર નહીં હોય.
ગુરુવારના રોજ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે આ વાત કહી હતી. આધારની અનિવાર્યતા પર રોકની માગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચ બનાવવાની વાત કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજદારોને કહ્યું કે આવતા અઠવાડિયે કોર્ટ 5 સબ્યોની સંવિધાન પીઠ બનાવશે, જે આ અરજીઓની સુનાવણી હાથ ધરશે.