BSPના ખાતામાં 104 કરોડની જૂની નોટ જમા થતા ED ચોંકી ગયું, પૂછપરછ કરી શકે છે IT
આ જ બ્રાન્ચમાં માયાવતીના ભાઈ આનંદનું ખાતું પણ હતું, જેમાં ૧.૪૩ કરોડ રૂપિયા માલૂમ પડ્યા હતા. નોટબંધી બાદ આ ખાતામાં ૧૮.૯૮ લાખ રૂપિયા જમા કરાવાયા હતા. હવે ઈડી આવકવેરા વિભાગને જાણ કરશે, જે આ રકમ કઈ રીતે અને ક્યાંથી આવી તેની તપાસ કરશે. ઈડીએ બેન્કને સીસીટીવી ફૂટેજ અને કેવાયસી ડોક્યુમેન્ટ્સ આપવા પણ કહ્યું છે. યુપી ચૂંટણી અગાઉ આ ઘટસ્ફોટથી ભારે રાજકીય ખળભળાટ મચી ગયો છે.
અધિકારીઓએ બસપાના ખાતામાં જમા કરાવાયેલી રકમના રેકોર્ડ્સ બતાવવા કહ્યું તો માલૂમ પડ્યું હતું કે તેમાં ૧૦૨ કરોડ રૂપિયા ૧૦૦૦ રૂપિયાની નોટમાં જમા કરાવાયા હતા, જ્યારે બાકીના ત્રણ કરોડ રૂપિયા ૫૦૦ રૂપિયાની નોટમાં જમા કરાવાયા હતા. દર બીજા દિવસે ખાતામાં ૧૫-૧૭ કરોડ રૂપિયા જમા કરાવાયા હોવાનું માલૂમ થતાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
અધિકારીઓએ કહ્યું હતું કે ઈડીએ શંકાસ્પદ બેન્ક ખાતા અને જંગી કેશ હોય તેવા ખાતાના રૂટિન સર્વે અને પૂછપરછના ઓપરેશન દરમિયાન સોમવારે નવી દિલ્હીના કારોલબાર્ગ ખાતેની યુનાઈટેડ બેન્કની બ્રાન્ચની મુલાકાત લીધી હતી જે દરમિયાન આ બે ખાતામાં જંગી રકમ મળી આવી હતી.
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ સોમવારે બસપાના બેંક ખાતામાં 104 કરોડ રૂપિયા જેવી જંગી રકમ જમા થયાનું શોધી કાઢ્યું છે. સાથે સાથે માયાવતીના ભાઈ આનંદના યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં પણ રૂપિયા 1.43 કરોડ રૂપિયાની જંગી રકમ જમા થયાનું જાણવા મળ્યું છે.