ગંગા નદીને બચાવવા માટે 111 દિવસના ઉપવાસ બાદ પ્રો. જીડી અગ્રવાલનું નિધન

હરિદ્વાર: ગંગા નદીમાં પ્રદુષણ એક ખૂબજ મોટો મુદ્દો છે અને તેને લઈને ચર્ચા અને દાવાઓ થતાં રહે છે પરંતુ ખૂબજ ઓછા લોકો એવા છે જે આ મુદ્દાને લઈને સંવેદનશીલ છે. એવા જ એક પર્યાવરણવિદ જીડી અગ્રવાલ ગંગાના મુદ્દાને લઈને 111 દિવસથી અનશન પર બેઠા હતા. જેનું 86 વર્ષની વયે ગુરુવારે ઋષિકેશના એમ્સમાં નિધન થઈ ગયું છે.
મનમોહન સરકાર દરમિયાન 2010માં તેના ઉપવાસ આંદોલનના કારણે ગંગાની મુખ્ય સહયોગી નદી ભગીરથી પર બની રહેલા લોહારી નાગપાલા, ભૈરવ ઘાટી અને પાલા મનેરી ડેમના પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. જેને મોદી સરકાર આવ્યા બાદ ફરી ચાલુ કર્યા હતા. આ પ્રોજેક્ટને રોકવા અને ગંગા એક્ટ લાગું કરવાની માંગ સાથે પ્રો. જીડી અગ્રવાલ 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર હતા.
જીડી અગ્રવાલ આઈઆઈટીમાં પ્રોફેસર પણ રહી ચુક્યા છે અને ઈન્ડિયન સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના સદસ્ય પણ રહી ચુક્યા હતા.
પ્રોફેસર જીડી અગ્રવાલને અન્ન બાદ મંગળવારે જળનો પણ ત્યાગ કર્યો હતો. જેના બાદ પ્રશાસને ઋષિકેશના એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જીડી અગ્રવાલ ગંગા નદીની પ્રવાહમાં ચેકડેમ દ્વારા પેદા કરવામાં આવેલા અવરોધોના વિરોધી હતી. તેમણે સરકાર સામે માંગ રાખી હતી કે, બધા જ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બંધ કરવામા આવે અને ગંગા એક્ટ બનાવવામાં આવે. જેને લઈને ઘણીવાર આંદોલન કરી ચુક્યા છે.