મોદી સરકારના આ સીનિયર મિનિસ્ટરને થઈ ગંભીર શારીરિક તકલીફ ? જાણો હવે શું કરશે ?
નવી દિલ્હીઃ મોદી કેબિનેટના સીનિયર મંત્રી અને નાણા મંત્રાલયનો પોર્ટફોલિયો સંભાળતા અરૂણ જેટલી કિડનીની બીમારીના કારણે અસ્વસ્થ છે. તેમને સર્જરી પણ કરાવવી પડી શકે છે. આ માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે તેમ કેન્દ્રીય મંત્રીની નજીકના સૂત્રોએ જણાવ્યું છે.
અરૂણ જેટલી સોમવારથી કાર્યાલય પણ નથી જઈ રહ્યા. રાજ્યસભા માટે ફરીવખત ચૂંટાયા બાદ તેમણે હજુ સુધી શપથ લીધા નથી. જેટલીને ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ નાણા મંત્રીના સ્વાસ્થ્યની તપાસ થઈ રહી છે અને કેટલાક તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ તેમને કિડનીની બીમારીથી પીડાતા હોવાનો સંકેત આપી ઇન્ફેકશન ન લાગે તે માટે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
હજુ સુધી રાજયસભા સાંસદ તરીકે શપથ નહીં લેનારા સભ્યોમાં જેટલી પણ સામેલ છે. કેન્દ્રમાં 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના થોડા દિવસો બાદ જેટલી પર મોટી સર્જરી કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા મુજબ તેમની વર્તમાન અસ્વસ્થતા આની સાથે સંકળાયેલી હોઇ શકે છે.