આજે મધરાતથી દેશભરમાં GST લાગુ, રોશનીથી ઝગમગી ઉઠશે સંસદ, અમિતાભ, લતા મંગેશકર સહિતના દિગ્ગજો રહેશે હાજર
મોદી સરકાર મહત્વના કાર્યક્રમ ખાસ રીતે ઉજવતી રહી છે, જેથી લાંબા સમય સુધી ચર્ચા થાય. જીએસટી માટે અડધી રાત્રે આયોજન પણ વ્યૂહરચનાનો હિસ્સો છે. સ્વતંત્રતા પણ અડધી રાત્રે મળી હતી અને જીએસટી પણ અડધી રાત્ર પછી અમલી બનશે. સરકાર આને ટેક્સની જટિલતાઓથી મુક્તિના સ્વરૂપમાં સ્થાપિત કરવા માગે છે.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ભાષણ આપશે. ઠીક 12 વાગે ઘંટ વગાડીને જીએસટી લાગુ કરવાની જાહેરાત થશે. જીએસટી લાગુ કરવામાં અગાઉની સરકારોની ભૂમિકા અને વિભિન્ન રાજ્યોના યોગદાન સાથે સંબંધિત બબ્બે શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે.
જીએસટીમાં ગત સરકારની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ અને એચ.ડી. દેવગૌવડાને વિશેષ રીતે બોલાવવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ સરકારની મેગા ઇવેન્ટનો બહિષ્કાર કર્યો છે. ડો.મનમોહનસિંઘ પણ જશે નહીં. જોકે, દેવગૌવડા સમારંભમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ ઉપરાંત ડાબેરી પક્ષો, સપા, ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંમેલનમાં ભાગ લેશે નહીં. સરકારે જીએસટીનું રાજનીતિકરણ નહીં કરવાનો આગ્રહ કર્યો છે.
જમ્મુ-કાશ્મીર સિવાય બધાં રાજ્ય સ્ટેટ જીએસટી કાયદો પસાર કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં જીએસટી લાગુ થઇ જશે. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જમ્મુ-કાશ્મીરનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીને પહેલી જુલાઇથી લાગુ થઇ રહેલી જીએસટી વ્યવસ્થામાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે.
નવી દિલ્હીઃ સંસદનું સેન્ટ્રલ હોલ આજે અડધી રાતે રોશનીથી ઝગમગી ઉઠશે. જીએસટી લાગુ થવાના અવસર પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ રતન ટાટા અને સ્વર સામાજ્ઞ્રી લતા મંગેશ પણ હાજર રહેશે. કાર્યક્રમ રાત્રે 11 વાગે શરૂ થઇને આશરે એક કલાક સુધી ચાલશે.