ગુજરાત ચૂંટણીમાં PAK લિંક જોડવા પર BJP સાંસદ શત્રુધ્ન સિન્હાએ મોદી પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનથી મદદ મળી રહી હોવાના કરેલા નિવેદનમાં હવે બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા પણ કૂદી પડ્યા છે. તેમણે આ વખતે સીધો જ પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યો છે. બોલિવૂડમાં શોટગનના નામથી જાણીતા શત્રુધ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે, જે વિકાસ મોડલનો વાયદો કર્યો હતો તે વિકાસના મુદ્દા પર વાત કરો.
શત્રુધ્ને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘સર નવા નવા ટવિસ્ટ અને ભરપાઇની કોશિશ કરવાના બદલ તમે એવા મુદ્દા પર વાત કરો, જેમાં તમે વિકાસ મોડલનો વાયદો કર્યો હતો. જેમકે આવાસ, વિકાસ, યુવાનોને રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ. સાંપ્રદાયિકતા ફેલાવતું વાતાવરણ અટકાવો અને સ્વસ્થ રાજનીતિમાં પરત ફરો. જય હિન્દ.’
બીજેપી સાંસદે વધુ એક ટ્વિટ કર્યું અને ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાન લિંક જોડવા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું કે, આદરણીય સર, માત્ર કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતવા માટે તમે તમારા રાજકીય વિરાધીઓ સામે અંતિમ તબક્કાના મતદાન માટે દરરોજ અવિશ્વસનીય મુદ્દા લઈને આવી રહ્યા છો. હવે ચૂંટણીમાં પાકિસ્તાન હાઇકમિશન અને જનરલને જોડી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભારત-પાકિસ્તાન સંબંધો પર એક કાર્યક્રમમાં દિલ્હીમાં પહેલાથી નક્કી હતો. જેમાં સામેલ થવા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ કસ્તુરી પણ આવ્યા હતા અને જે મીટિંગનો પીએમ મોદી ઉલ્લેખ કરી રહ્યા છે તે એક દિવસ પહેલા થઈ હતી. આ ઇવેન્ટના એક દિવસ પહેલા જ મણિશંકર ઐયરે મોદીને નીચ ગણાવતું નિવેદન કર્યું હતું.