નર્મદાનું વધારે પાણી મળે એ માટે રૂપાણી સરકાર કેન્દ્રના શરણે, જાણો શું કરી રજૂઆત ?
સૂત્રના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2017માં ધ્યપ્રદેશથી 19૦૦૦થી 25૦૦૦ કયુસેક પાણી મળતું હતું, જયારે જાન્યુઆરી 2018માં આ પ્રમાણ ઘટીને 1800થી 2000 કયૂસેક થઈ ગયું છે. જો 2016-17 સાથે સરખામણી કરવામાં આવે તો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાણીની ફાળવણીનું પ્રમાણ લગભગ અડધું કરી દેવામાં આવ્યું છે. 23, જાન્યુઆરી 2017ના રોજ સરદાર સરોવર ડેમની સ્ટોરેજ કેપેસિટી 5860 MCM હતી, જયારે ૨1મી જાન્યુઆરી 2018ના રોજ ગુજરાતમાં પાણીનું પ્રમાણમાં 1173 MCM હતું જયારે સરદાર સરોવરમાં તે પ્રમાણ માત્ર 455 MCM હતું.
નવી દિલ્હી : પાણીની તંગીને કારણે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ અને ઉદ્યોગો માટે નર્મદાનું પાણી નહીં છોડવામાં આવે તેવી ગુજરાત સરકાર જાહેરાત કરી ચૂકી છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી પર કાપ મૂકવાની શક્યતા વ્યકત કરી હતી. આ સ્થિતિમાં રાજય સરકારે કેન્દ્રને આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
તેમણે કેન્દ્ર સરકાર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને વિનંતી કરી હતી કે, ગુજરાત માટે નર્મદા નદીમાં વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવે. આ વિષયના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી વિજય રુપાણીએ PMOને પણ આ બાબતે અપીલ કરી હતી અને PMOએ પાણી પુરવઠા વિભાગને આ બાબતે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે.
એક સૂત્રના જણાવ્યા અનુસાર, પાછલા વર્ષોની સરખામણીમાં સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી આવતા પાણીના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. માટે અમે કેન્દ્રને અપીલ કરી છે કે મધ્યપ્રદેશથી આવતા પાણીના સપ્લાયમાં વધારો કરવામાં આવે. કેન્દ્રએ અમારી માંગ સાંભળી છે અને હસ્તક્ષેપ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
ગુજરાત સરકારની માંગ છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે કે તે નર્મદાનું પાણી મોટા પ્રમાણમાં રીલિઝ કરે. જેનાથી ગુજરાતમાં પીવાના પાણીની તંગી ન ઉભી થાય. નર્મદા ડિપાર્ટમેન્ટના ACS એમ.એસ.ડાગુર મંગળવારના રોજ કેન્દ્ર સરકારના અમુક અધિકારીઓને મળ્યા હતા અને રાજયમાં ઉભી થયેલી પાણીની તંગીની વિષે જાણ કરી હતી.