સેક્સ એજ્યુકેશન સામે લડનારા ગુજરાતી જૈન આચાર્યને પદ્મભૂષણ એવોર્ડ, જાણો તેમના વિષે
તેમનું મમ્મી-પપ્પા અને દીકરા વચ્ચેના સંબંધોનું મહાત્મય સમજાવતું પુસ્તક 'લખી રાખો આરસની તકતી પર' ફ્રેન્ચ સહિત 10 ભાષાઓમાં અનુવાદ થયું છે. તેમના ગુજરાતી તથા અનુવાદિત 480 જેટલાં પુસ્તકો છે જેની 80 લાખથી વધુ નકલોનું વેચાણ થયું છે.
69 વર્ષના જૈન આચાર્ય એ 19 વર્ષની ઉંમરે દિક્ષા લીધી હતી. પ્રવચન પ્રભાવક તરીકે ખ્યાતનામ આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના પુસ્તકોનું હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, ઉર્દૂ, સિંધીમાં અનુવાદ થયા છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા આજે પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પૈકી પાંચ મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયા છે જ્યારે જૈનાચાર્ય રત્ન સુંદર સુરીશ્વરજીને પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ કરાયા છે.
જૈન આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના મોટાભાગના પુસ્તકો સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનની વાત કરે છે. આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના પ્રવચન નૈતિકતા અને આધ્યાત્મિકતા થકી વ્યક્તિત્વ વિકાસ પર ફોકસ કરે છે.
માતૃભાષા ગુજરાતીમાં 300થી વધુ પુસ્તક લખનારા જૈન આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સેક્સ એજ્યુકેશન પર પ્રતિબંધના પ્રખર હિમાયતી છે અને કેંદ્ર સરકારે સેક્સ એજ્યુકશન દાખલ કરવાનો વિચાર માંડી વાળ્યો તે પાછળ તેમણે ચલાવેલી ઝુંબેશ જવાબદાર છે.