દેશની 22 ટકા સંપત્તિ પર માત્ર 1 ટકા શ્રીમંતો કબજો છે! 1922નો રેકોર્ડ તોડ્યો
૧૯૫૦થી ૧૯૭૦ના દાયકામાં ટોચની એક ટકા વસતીની આવકમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે બજાર પર ખાસ્સા નિયંત્રણો હતા. તે સમયમાં સૌથી નીચેની ૫૦ ટકા વસતી અને ૪૦ ટકા મધ્યમ વર્ગની આવક સરેરાશ કરતાં વધારે ઝડપથી વધી હતી. જોકે ૧૯૮૦ના દાયકાથી આ ટ્રેન્ડ બદલાઈ ગયો અને આ વર્ગની આવક ઘટતી ગઈ અને ટોચના એક ટકા લોકોની આવક વધતી ગઈ.
અહેવાલમાં કહેવાયું છે કે ‘શાઈનિંગ ઈન્ડિયા’ એ ટોચની ૧૦ ટકા વસતીની સમૃદ્ધિ વિશે હતું, ૪૦ ટકા મધ્યમ વર્ગની આવક માટે ન હતું. મધ્યમ વર્ગ માટે તો ખરેખર ૧૯૫૧-૧૯૮૦નો ગાળો એ જ શાઈનિંગ ઈન્ડિયા હતું. આ અર્થશાસ્ત્રીઓના મતે ઉદારીકરણ અને આર્થિક સુધારાની પ્રક્રિયા અસમાન હતી. વિશેષ કરીને દેશમાં જ્યારથી મુક્ત અર્થવ્યવસ્થા લાગુ થઈ ત્યારથી આ અસમાનતા વધુ પહોળી બની રહી છે. જોકે, તેના કારણે દેશમાં આર્થિક પગભર થવાની ટકાવારી પણ વધી છે.
જાણીતા અર્થશાસ્ત્રી લુકાસ ચાન્સેલ અને થોમસ પિકેટીએ ‘ભારતમાં આવકની અસામનતા, ૧૯૨૨-૨૦૧૪ : બ્રિટિશ રાજથી બિલિયોનેર રાજ /’ શીર્ષકથી એક અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં કહેવાયું છે કે ૧૯૨૨માં આવકવેરાનું સર્જન થયું ત્યારથી હાલમાં ટોચની એક ટકા વસતીની આવક સૌથી વધારે છે. ૧૯૩૦ના દાયકાના અંતિમ વર્ષોમાં ટોચની ૧ ટકા વસતીની આવક ૨૧ ટકાથી ઓછી હતી. ૧૯૮૦ના દાયકા અગાઉના વર્ષોમાં તેમની આવક ઘટીને છ ટકા થઈ ગઈ હતી. પરંતુ ત્યાર પછીથી તેમાં ઝડપી વધારો થયો છે અને હાલમાં તે બાવીસ ટકા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ 1922ની તુલનામાં સૌથી વધારે છે. સમગ્ર દેશમાં 1 ટકા અમીરો પાસે દેશની કુલ 22 ટકા સંપત્તિ છે. અર્થશાસ્ત્રી થોમસ પીકેટ્ટી અને લુકસ ચાંસેલ દ્વારા જારી એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ અહેવાલમાં આ બન્ને અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ૧૯૮૩-૮૪ પછીથી જ્યારથી જાહેર ક્ષેત્રની અવગણના કરવાનું અને ખાનગી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની આર્થિક નીતિ અમલી બની ત્યારથી આવકમાં સતત અસામનતા વધતી ગઈ છે. રાજીવ ગાંધી ૧૯૮૪માં વડાપ્રધાનપદે આરૂઢ થયા ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ છે.