IPl: ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓને સ્ટેડિયમમાં કેમ પાછલા બારણેથી ઘૂસાડાયા ? સ્ટેડિયમમાં 4000 પોલીસ ખડકીને કેમ રમાડવી પડી મેચ ?
પ્રદર્શનકારીઓએ ચેન્નાઇ સુપર કિંગ્સની પીળી જર્સીઓ બાળીને વિરોધ નોંધાવ્યો હતો. તામિઝાગા વાઝવુરિમાઇ કાટચી જેવા તામિલ સમર્થક સંગઠનોએ આઇપીએલનો બહિષ્કાર કરવાની ચિમકી આપી છે. આ સંગઠનોનો દાવો છે કે કાવેરી મુદ્દે ચાલી રહેલા દેખાવોથી લોકોનું ધ્યાન હટાવવા માટે ચેન્નાઇમાં આઇપીએલની મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.
મે, 2015 પછી પ્રથમ વખત ચેન્નાઇમાં આઇપીએલની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે સ્ટેડિયમની ઉપર હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતાં. કેટલાક સ્થળોએ પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઇ હતી.
મંગળવારે રમાયેલી હાઇ સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હાર આપી હતી. કેકેઆરની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સીએસકેની ટીમે 19.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા પર જૂત્તું પણ ફેંકવામાં આવ્યું હતું.
ચેન્નાઈઃ ચેન્નાઇમાં કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના કરવાની માગ કરી રહેલા લોકોએ આઇપીએલની મેચ વિરુદ્ધ દેખાવો કરતા એમ. એ. ચિદમ્બરમ(ચેપોક) સ્ટેડિયમમાં 4000 પોલીસની હાજરીમાં મંગળવારે રાત્રે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. ખેલાડીઓને પાછળના દરવાજાથી સ્ટેડિયમમાં લઇ જવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં છેલ્લા એક સપ્તાહથી કાવેરી મુદ્દે દેખાવો ચાલી રહ્યાં છે. વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો ચેન્નાઇમાં રમાનાર આઇપીએલની મેચો રદ કરવાની માગ કરી રહ્યાં છે.
સુરક્ષા માટે રેપિડ એકશન ફોર્સ(આરએએફ)ના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના ન કરવા બદલ દેખાવકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતાં.