UPમાં સવા લાખના પગારદારી અધિકારી પાસે 600 કરોડની સંપત્તિ, લક્ઝુરિયસ કાર્સનો કાફલો
ઉત્તરપ્રદેશમાં મહાભ્રષ્ટ અધિકારીનો પર્દાફાશ થયો છે. ૧.૨૫ લાખનો પગાર મેળવતા ઉત્તર પ્રદેશના રાજકીય નિર્માણ નિગમના શિવ આશ્રય શર્મા નામના અધિકારીએ ૩૦ વર્ષની નોકરીમાં 6૦૦ કરોડથી વધુની સંપત્તિ ભેગી કરી લીધી છે.
આલિશાન ફાર્મ હાઉસમાંથી સાત કરોડની ડીલના દસ્તાવેજો પણ મળ્યા છે. આઇટી વિભાગે શિવ આશ્રય શર્મા ઉપરાંત ન્યૂઝ ચેનલ સંચાલક અને કોન્ટ્રાક્ટર અમિત શર્માના ઠેકાણાંથી પણ કેટલાક મહત્વના દસ્તાવેજો મેળવ્યા છે. હવે ઇન્કમ ટેક્સની ટીમ તપાસ કરી રહી છે કે આ ડીલ માટે કેટલા રૂપિયા આવવાના હતા, ડીલમાં કેટલી રકમ અપાઇ હતી અને ડીલ રદ થયા બાદ કેટલી રકમ પાછી આપવામાં આવી હતી.
તેની પાસેથી દહેરાદૂનમાં ૧૦૦ કરોડનો ફાર્મ હાઉસ ઉપરાંત રેન્જરોવર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યૂ જેવી ૧૫ લક્ઝરી કાર્સ પણ મળી છે. દરોડામાં આ પણ જાણવા મળ્યું છે કે કાનપુર, દિલ્હી અને નોઇડામાં શર્માના કેટલાક બંગલા છે. આ ઉપરાંત તે દહેરાદૂનમાં એક ફેક્ટરી પણ છે.
દહેરાદૂનમાં આવકવેરા વિભાગની ટીમે શર્માના બેન્ક લોકરો ખોલ્યા બાદ ઘર, ફાર્મ હાઉસ અને ઓફિસોમાંથી જપ્ત દસ્તાવેજોની તપાસ શરૂ કરી દીધી છે.
ઈંકમટેક્સ વિભાગના દરોડામાં રાજકીય નિર્માણ નિગમના જીએમ શિવ આશ્રય શર્મા પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ બાદ આ જાણ થતાં જ અધિકારીઓ આશ્ચર્યચકિત થઇ ગયા છે. તેના દસ્તાવેજો અને લોકરોની તપાસ શરૂ કરી દેવાઇ છે. તપાસમાં વધુ ખુલાસો થવાની ધારણા છે.