કર્ણાટકઃ 12 મેએ ચૂંટણી-15 મીએ પરિણામ, દરેક બૂથો પર VVPATનો થશે યૂઝ, આચાર સંહિતા લાગુ
નોંધનીય છે કે, 2013ની વિધાનસભ ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસે 122 જીતી હતી, જ્યારે ભાજપે 40 અને જેડીએસે 40 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. બીજેપીમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા બીએસ યેદિયુરપ્પાની કેજેપી માત્ર 6 બેઠકો જીતી શકી હતી. ઉપરાંત અન્યને 16 બેઠકો મળી હતી. જોકે બાદમાં યેદિયુરપ્પા ફરીથી ભાજપ સાથે જોડાઇ ગયા હતા.
ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષો અત્યારથી મેદાનમાં આવી ગયા છે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાનો કિલ્લો બચાવવાના પ્રયાસમાં લાગી ગઇ છે, તો વળી બે.એસ. યેદિયુરપ્પાને સીએમ ફેસ બનાવીને ભાજપ પણ મેદાનમાં આવી ગઇ છે. જેડીએસ બસપાની સાથે ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહી છે.
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. 225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભા માટે 224 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. 1 બેઠક પર એંગ્લો-ઇન્ડિયન સમુદાયના સભ્યને નૉમિનેટ કરવામાં આવે છે. કર્ણાટકમાં 12 મે એ મતદાન યોજાશે અને 15 મે ના દિવસે મતગણતરી થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતે જણાવ્યું કે, આ વખતે ચૂંટણી ખર્ચ પર પંચનું ખાસ ધ્યાન રહેશે, બધી પાર્ટીઓ પર અમારી નજર રહેશે. એક ઉમેદવાર ચૂંટણીમાં 28 લાખ રૂપિયાથી વધુ ખર્ચ નહીં કરી શકે. ખરેખર, કર્ણાટકની હાલની (13મી) વિધાનસભામાં પાંચ વર્ષનો કાર્યકાળ ત્રણ જુને પુરો થઇ રહ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, કર્ણાટકની જનસંખ્યાના 72 ટકા લોકો વૉટર છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં આજથી કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે, એટલું જ નહીં જ્યાં સુધી ચૂંટણી ના પુરી થાય ત્યાં સુધી રાત 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર બેન લગાવી દેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ અનુસાર, કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ વૉટર છે. 97 ટકા મતદારોને ઓળખ કાર્ડ પત્ર આપી દેવામાં આવ્યા છે. આ વખતે કર્ણાટકમાં 56 હજાર પૉલિંગ બૂથ બનાવવામાં આવશે. 28 મે પહેલા બધી પ્રૉસેસ પુરી કરી દેવામાં આવશે.
ચૂંટણી પંચ અનુસાર, 17 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, ત્યારબાદ 25 એપ્રિલે ફોર્મનું ચેકિંગ કરવામાં આવશે. બાદમાં 27 એપ્રિલ સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી શકશે.