ભાજપે કર્ણાટકમાં સરકાર રચવા જેડીએસ-કોંગ્રેસના ખરેખર કેટલા ધારાસભ્યોને તોડવા પડે? જાણો મહત્વની વિગત
રાજ્યપાલ વજુભાઈ વાળા આ અંગે આજે બુધવારે નિર્ણય લે તેવી શક્યતા છે. વજુભાઈ વાળા ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે.
જો કે ખરેખર ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એ મામલે અલગ અલગ વાતો કરાય છે ને ગૂંચવાડો છે તેવો માહોલ પેદા કરાય છે. વાસ્તવમાં એવો કોઈ ગૂંચવાડો નથી. ભાજપ સરકાર રચે તો તેણે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.
અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી તેના પગલે રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ બંનેએ પોતાની પાસે વધારે ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કરીને સરકાર રચવા પોતાને નિમંત્રણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
અત્યારે જે સ્થિતી છે એ પ્રમાણે ભાજપ પાસે 104, જેડીએસ પાસે 37 અને કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ, એક બહુજન સમાજ પાર્ટી અને એક કર્ણાટક પ્રજ્ઞાવંથ જનતા પાર્ટી (કેપીજેપી)નો ધારાસભ્ય છે. કોંગ્રેસ-અને જેડીએસના ત્રણેય ધારાસભ્યો ભાજપને ટેકો આપે તો ભાજપના સભ્યોની સંખ્યા 107 થાય.
બીજી તરફ જેડીએસ અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા 115 થાય છે. આ પૈકી કુમારસ્વામી બે બેઠકો પરથી જીત્યા છે તેથી જેડીએસના સભ્યોની સંખ્યા ઘટીને 36 થાય. કોંગ્રેસ-જેડીએસ પાસે કુલ 114નું સંખ્યાબળ થાય. આમ ભાજપ કરતાં જેડીએસ-કોંગ્રેસ પાસે 7 ધારાસભ્યો વધારે છે.
હવે ભાજપ જો કોંગ્રેસ-જેડીએસના 7 ધારાસભ્યો તોડે તો કોંગ્રેસ-જેડીએસની સભ્યસંખ્યા 107 થાય અને બંને સરખા સ્તરે આવે. ભાજપે બહુમતી સાબિત કરવા માટે એક વધારે એટલે કે 8 ધારાસભ્યો તોડવા પડે તો જ તે વિધાનસભામાં બહુમતી સાબિત કરી શકે.