પદ્માવત સામેનો વિરોધ પાછો ખેંચી રીલીઝ કરવામાં મદદની જાહેરાત કરનાર કરણી સેનાના સુખદેવસિંહ ગગામાડી કોણ છે ?
નવી દિલ્હીઃ ફિલ્મ પદ્માવતના વિરોધને લઇને કરણી સેનાએ યૂ-ટર્ન લીધો છે. હવે કરણી સેના ફિલ્મ પદ્માવતનો વિરોધ કરશે નહીં. શુક્રવારે કરણી સેનાએ ફિલ્મનો વિરોધ પાછો લેવાની જાહેરાત કરી હતી. કરણી સેનાએ માન્યું હતું કે, આ ફિલ્મમાં રાજપૂતોની લાગણી દુભાય તેવું કાંઇ બતાવવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મમાં રાજપૂતોની વિરતાને વધારીને ગૌરવ સાથે બતાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પત્ર જાહેર કરીને કહ્યું હતું કે, દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજી અને મેવાડ઼ની રાણી પદ્માવતી વચ્ચે એવું તોઇ દશ્ય બતાવવામાં આવ્યું નથી જેનાથી રાજપૂતોની લાગણીઓને ઠેસ પહોંચે. જેથી કરણી સેના પોતાનો વિરોધ પાછો ખેંચે છે. સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત દેશના તમામ હિસ્સાઓમાં ફિલ્મ રીલિઝ કરાવવામાં કરણી સેના વહીવટીતંત્રની મદદ કરશે.
નોંધનીય છે કે ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ દેશભરમાં ઉગ્ર વિરોધપ્રદર્શનો કર્યા હતા. અનેક રાજ્યોમાં જાહેર સંપત્તિઓમાં આગ લગાવી તેને નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ હવે કરણી સેનાએ ફિલ્મનો વિરોધ નહી કરવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મુંબઇના નેતા યોગેન્દ્રસિંહ કતારે કહ્યું હતું કે, સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગગામાડીના નિર્દેશ પર કેટલાક સભ્યોએ શુક્રવારે મુંબઇમાં આ ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા બાદ લાગ્યું હતું કે, ફિલ્મમાં રાજપૂતોની બહાદુરી અને તેમની કુરબાનીને ગૌરવ સાથે બતાવવામાં આવી છે. આ ફિલ્મ જોયા બાદ રાજપૂતો ગૌરવ અનુભવશે.