VHPમાં પ્રવીણ તોગડિયાનું સ્થાન લેનારા કોકજે કોણ છે, જાણો વિગતે
નવી દિલ્હી: વિશ્વ હિન્દુ પરિષદના ઇતિહાસમાં 52 વર્ષમાં પ્રથમ વખત થયેલી ચૂંટણીમાં કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વિષ્ણુ સદાશીવ કોકજેએ તોગડિયા જૂથના રાઘવ રેડ્ડીને હાર આપીને વીએચપી અધ્યક્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
તોગડિયાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, સંઘ પરિવારમાં 75 વર્ષની વયે રિટાયરમેન્ટ થાય છે. વીએચપીમાં 80 વર્ષનો વ્યક્તિ ચૂંટણી લડે તે આશ્ચર્યજનક છે. આમ કહી તેમણે કોકજે પર નિશાન સાધ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિષ્ણુ સદાશીવ કોકજે વર્ષ 2003થી 2008 સુધી હિમાચલ પ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે.
આ ઉપરાંત કોકજે ભારત વિકાસ પરીષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે.
28,જૂલાઇ 1990માં તેમને મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. તેમણે 2001માં 11 મહિના સુધી રાજસ્થાન હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ પણ રહી ચૂક્યા છે.
6 સપ્ટેમ્બર 1939ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલા કોકજેએ ઇન્દોરમાં એલએલબી કર્યું હતું. બાદમાં તેમણે 1964થી વકીલાત શરૂઆત કરી હતી.