માલેગાંવ બ્લાસ્ટ્સઃ બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞાને આપ્યા જામીન, કર્નલ પુરોહિતને રાહત નહીં
વર્ષ 2008માં તા. 8મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના માલેગાંવની હામિદીયા મસ્જિદની બહાર બ્લાસ્ટ્સ થયા હતા. જેમાં 37 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 100થી વધુ ઘાયલ થયાં હતાં. મહારાષ્ટ્ર ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ)ની ચાર્જસીટ પ્રમાણે, લેફ. કર્નલ પુરોહિત તથા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત 12 કથિત 'હિન્દુ આતંકવાદીઓ'એ આ બ્લાસ્ટ્સને અંજામ આપ્યો હતો.
મુંબઈ 2008ના માલેગાંવ બ્લાસ્ટ્સ મામલે બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. જ્યારે કર્નલ પુરોહિતની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આ પહેલા તપાસ એજન્સી એનઆઈએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પોતાની તપાસમાં ક્લીન ચિટ આપી હોવા છતાં ટ્રાયલ કોર્ટે સાધ્વીની જામીન અરજી ફગાવી દીધી હતી.
NIAની ચાર્જશીટ પ્રમાણે વર્ષ 2006માં પુરોહિતે આ સંગઠનની સ્થાપના કરીને સૈન્ય સેવાના નિયમોનો ભંગ કર્યો છે. પુરોહિત તથા અન્યોએ એવા સંગઠનની સ્થાપના કરી, જેણે હથિયારો ખરીદવા માટે નાણાં એકઠાં કર્યાં. જ્યારે કર્નલ પુરોહિતના દાવા પ્રમાણે, ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવા માટે આમ કરવામાં આવ્યું હતું.
હાઈકોર્ટે પ્રજ્ઞા સિંહને રૂપિયા 5 લાખની રકમના શરતી જામીન આપ્યા છે. આટલી જ રકમના અન્ય બે જામીન આપવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત NIA પાસે પાસપોર્ટ જમા કરાવવાનિ તથા મુદ્દત સમયે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. માલેગાંવ પીડિતો પ્રજ્ઞા ઠાકુરના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
એનઆઈએની વિશેષ કોર્ટે જામીન અરજીઓ ફગાવતાં ઠાકુર અને પુરોહિતે મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કર્નલ પુરોહિતે દાવો કર્યો હતો કે, એનઆઈએ દ્વારા અભિનવ ભારત ટ્રસ્ટ પર હથિયારો એકઠાં કરવાનો તથા વિસ્ફોટકો વાપરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેના અંગે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.