સવર્ણોને 10 ટકા અનામત આપવા પાછળ મોદી સરકારે રાખી છે કઇ મોટી શરતો, જાણો વિગત
નવી દિલ્હીઃ કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઇ લાગુ કરી હતી. હાલમાં આ અનામત શૈક્ષણિક બાબતો પુરતી મર્યાદિત રહેશે અને ક્રમશ સરકારી નોકરીમાં પણ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર આર્થિક આધાર પર અનામત લાવી રહ્યા છે જેની હાલમાં બંધારણમાં કોઇ જોગવાઇ નથી. સંવિધાનમાં જાતિનાં આધારે આરક્ષણની વાત કરવામાં આવી છે તેવી સ્થિતિમાં સરકારે આ લાગૂ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સરકારનાં આ નિર્ણયને લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત અધિસૂચિત નગરપાલિકાના ક્ષેત્રમાં જો 100 ચોરસફૂટ કરતાં ઓછું અથવા તો બિન અધિસૂચિત વિસ્તારમાં 200 ચોરસ ફૂટના પ્લોટમાં રહેતા લોકોને આર્થિક રીતે પછાત સવર્ણ તરીકે ઓળખવામાં આવશે. આ માટે મોદી સરકારને બંધારણની ધારા 15 અને 16માં સંશોધન કરવાનું રહેશે. આ બિલને આવતીકાલે લોકસભામાં રજૂ કરવામાં આવશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજયની સમીક્ષા સંદર્ભે સવર્ણોની નારાજગી મુખ્ય હોવાના તારણો સામે આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ગરીબ સવર્ણ તરીકે ઓળખ કેવી રીતે થશે? જેના અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે આઠ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા સવર્ણોને અનામતનો ફાયદો મળશે. ઉપરાંત 1000 ચોરસ ફૂટથી નાનું મકાન ધરાવતા સવર્ણ લોકોને અનામતનો ફાયદો મળશે. તે સિવાય જે સવર્ણો પાસે પાંચ હેક્ટર કરતા ઓછી જમીન હશે તેને પણ અનામતનો લાભ મળશે.