નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટીદાર યુવાનો અંગે શું કરી કોમેન્ટ?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હરિદ્વાર ખાતે ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ ધર્મશાળાનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, પાટીદાર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, ત્યારે સમાજના વડીલોની જવાબદારી છે કે તેઓ તેમને સાચા અને યોગ્ય માર્ગે લઈ જાય.
પીએમ મોદીએ કહ્યું કે, ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ધર્મશાળા ઉત્તરાખંડમાં ધાર્મિક પ્રવાસનને વેગ આપશે. કેમ કે રાજ્યમાં પ્રમખ ધાર્મિક સ્થળો જેવા કે હરિદ્વાર, ઋષિકેશ, બદ્રિનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી આવેલા છે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે, સંસ્થાએ પોતાના સમાજના યુવાનોને ગેરમાર્ગે જતાં બચાવવા જોઈએ ઉપરાંત લોકોને અપીલ કરી હતી કે મંદિર અથવા ધર્મશાળા જ્યાં પણ જાવ ત્યાં હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહો અને વાતાવરણને પણ ક્લીન રાખો.
તેમજ પાટીદાર સમાજને 'બેટી બચાવ બેટી પઢાવ' યોજનામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે, આપણી દીકરીઓનો બચાવવી તે આપણી જવાબદારી છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ગુજરાતના અનેક પાટીદાર આગેવાનો તથા શ્રેષ્ઠીઓ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, પાટીદારો સામે મારે ખૂબ જુના સંબંધ છે. હું ગુજરાતમાં એક સમયે માં ઉમિયા ટ્રસ્ટમાં સ્વયંસેવક તરીકે સેવા આપવા જતો હતો અને જ્યારે પણ મને કોઇ વસ્તુની જરૂર હોય ત્યારે હંમેશા મને ટેકો આપ્યો છે. પાટીદાર હંમેશા સમાજના ઉત્થાન માટે કામ કરે છે.