મોદીએ કેબિનેટ પ્રધાનોના બદલ્યા ખાતા, જાણો ક્યા પ્રધાનને મળ્યું ક્યુ ખાતું

નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરના રાજીનામા બાદ અરુણ જેટલી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા હતા. આજે થયેલા કેબિનેટ વિસ્તરણ બાદ નિર્મલા સીતારમણને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નિર્મલા પૂર્ણકાલીન સંરક્ષણ મંત્રી બની છે.
તે સિવાય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જે અગાઉ ઉમા ભારતી પાસે હતું. હવે ઉમા ભારતી પેયજળ અને સફાઇ મંત્રી રહેશે. તે સિવાય અગાઉ સ્મૃતિ ઇરાનીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલોં સોપવામાં આવ્યો હતો પરંતુ હવે તેઓ જ આ મંત્રાલય સંભાળશે. સ્મૃતિ ઇરાની કાપડ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
વડાપ્રધાન મોદી કેબિનેટ વિસ્તરણ પછી ચીનના પ્રવાસે જવા રવાના થઈ ગયા હતા પણ એ પહેલાં ખાતાંની ફાળવણીની જાહેરાત કરી દેવાઈ હતી. મોદીએ કેટલાંક મહત્વનાં ખાતાંમાં ફેરફાર કર્યા છે. મોદીએ ક્યા પ્રધાનને ક્યું ખાતું સોંપ્યું તેની વિગતો આ પ્રમાણે છે.
બીજી તરફ સુરેશ પ્રભુના રેલવે મંત્રીના રાજીનામા બાદ પિયુષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પિયુષ ગોયલ પાસે કોલ મંત્રાલય પણ રહેશે.