હવે દેશના આ રાજ્યનાં મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય
સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિતેલી 20 ડિસેમ્બરે એક પીઆઈલ પર અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે આ આદેશ આપ્યો હતો જેને લાગુ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ યૂપીમાં સરકારના નવા આદેશથી મંદિર-મસ્જિદમાં મંજૂરી વગર લાઉડ સ્પીકર વગાડવા પર જેલ થઈ શકે છે. જાનમાં પણ ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવા પર વરરાજાને જેલ થઈ શકે છે. મંજૂરી ન હોય તેવા તમામ સ્થળેથી એમ્પ્લિફાયર ૧૫ જાન્યુઆરી સુધીમાં હટાવી લેવાના રહેશે.
નવા જાહેર કરાયેલા ૧૦ પાનાના વિસ્તૃત આદેશ મુજબ જે જાહેર કે ખાનગી સ્થળે લાઉડસ્પીકરનો મંજૂરી સાથે ઉપયોગ થતો હશે ત્યાં પણ પરિસરની બહાર અવાજ ન જવો જોઈએ.
૧૦ ડેસિબલથી વધારે અવાજ ન હોવો જોઈએ. જો ૧૫મી સુધીમાં ગેરકાયદે લાઉડસ્પીકર હટાવાશે નહીં તો ૨૦મીથી સરકાર જ તેને હટાવવાની કામગીરી શરૂ કરી દેશે. એટલું જ નહીં, પ્રદૂષણ નિયંત્રણના કાયદા મુજબ પગલાં પણ લેશે.