OBC માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હજારો લોકોને થશે ફાયદો, જાણો વિગતો

સરકારના આ નિર્ણય બાદ ઓબીસી વર્ગમાં વધુને વધુ લોકોને નોકરીઓ અને ભણવાનો લાભ મળી શકશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિક સચિવશ્રીના જણાવ્યા પ્રમાણે, રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ક્રિમિલેયરમાંથી બાકાત રાખવા માટેની આવક મર્યાદા છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્ધારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે ક્રિમિલેયરની આવક મર્યાદામાં વધારો કર્યા બાદ ગુજરાત સરકારે પણ તેને વધારવાનો નિર્ણય લીધો છે. અગાઉ કેન્દ્ર સરકારે ઓબીસી અનામત માટે ક્રિમિલેયરની આવક મર્યાદા છ લાખ રૂપિયાથી વધારીને આઠ લાખ રૂપિયા કરી હતી. હવે રૂપાણી સરકારે ક્રિમિલેયરની આવક મર્યાદા વધારીને આઠ લાખ રૂપિયા કરી છે.
કેન્દ્ર સરકારે આ મર્યાદામાં વધારો કરી આઠ લાખ રૂપિયા કરી હતી. હવે ગુજરાત સરકારે પણ આ મર્યાદા છ લાખથી વધારીને આઠ લાખ રૂપિયા કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેનો અમલ 1, સપ્ટેમ્બર 2017થી થશે.
રાજ્ય સરકારની નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ વખતે અનામતના લાભ માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. જેનો લાભ લાખો વિદ્યાર્થીઓને થશે. આવક મર્યાદા સિવાયની અન્ય શરતો અને જોગવાઇઓ યથાવત રહેશે.