મુંબઈના અબજોપતિ ગુજરાતી હીરાના વેપારીની હત્યાના કેસમાં ભાજપના ક્યા નેતાની થઈ ધરપકડ? જાણો વિગત
સચિન 2017માં પાછો ભાજપમાં જોડાયો હતો. પ્રકાશ મહેતાએ કહ્યું કે, મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહિલા અનામત વોર્ડને કારણે સચિનની પત્નીને ભાજપે ટિકિટ આપેલી પણ મારે તેની સાથે લેવાદેવા નહોતી. રાજકીય કારકિર્દીમાં સેંકડો કાર્યકરો સાથે ઓળખાણ થાય પણ તે પોતાની વ્યક્તિગત જિંદગીમાં શું કરે છે એની મને જાણ નથી હોતી.
પંતનગર પોલીસે આ પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉદાણી ગુમ થયા એ દિવસથી સચિન પવારે ઉદાણીને 13 વાર ફોન કર્યા હતા. આને આધારે પોલીસે તપાસના ભાગરૂપે સચિની ધરપકડ કરી હતી. પોલીસે સચિન પવારની કાર પણ કબજામાં લીધી હતી.
મુંબઈઃ ઘાટકોપરના અબજોપતિ હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની હત્યા પ્રકરણે મુંબઈની પંતનગર પોલીસે મહારાષ્ટ્રના હાઉસિંગ પ્રધાન પ્રકાશ મહેતાના ભૂતપૂર્વ પી.એ. સચિન પવારની ધરપકડ કરી છે. સચિન પવાર હાલમાં પ્રકાશ મહેતા સાથે કામ નથી કરતો પણ ઘાટકોપરમાં તે ભાજપમાં સક્રિય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રકાશ મહેતાએ સ્પષ્ટતા કરી છે કે, સચિન એક સમયે મારા પી.એ. તરીકે કામ કરતો હતો પણ 2011માં મેં છેડો ફાડી નાખ્યો પછી તે અપક્ષ તરીકે ચૂંટણી લડયો હતો અને હારી ગયો હતો. એ પછી મારી ક્યારેક જ અલપઝલપ મુલાકાત થઇ હશે પણ મેં ત્યાર બાદ ક્યારે, પણ તેને કામ પર રાખ્યો નહોતો. તે શું કરે છે તેની મને બિલકુલ જાણ નહોતી.
સચિનની પત્નીને પણ ભાજપે બૃહદ્ મુંબઈ મહાનહરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. ઉદાણી હત્યા કેસમાં સચિનની ધરપકડ ગુવાહાટીથી કરવામાં આવી હતી. ઘાટકોપરમાં રહેતા રાજેશ્વર ઉદાણી હીરા અને સોના-ચાંદીના દાગીનાના વેપારી હતા. 57 વર્ષીય ઉદાણી 28મી નવેમ્બરથી લાપતા હતા.
અંધેરી જઇ રહ્યા હોવાનું કહી ઘરેથી તેઓ નીકળ્યા બાદ ઘરે પાછા નહોતા ફર્યા. તેના પગલે ઉદાણી પરિવારે રાજેશ્વર ઉદાણીની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દરમિયાન ઉદાણીનો મૃતદેહ એક અઠવાડિયા બાદ પનવેલ નજીકના એક જંગલમાંથી અત્યંત વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.