AIADMKમાં સંકટ: પન્નીરસેલ્વમના સમર્થનમાં આવ્યા નેતાઓ, શશિકલાએ આપી ધરણાની ધમકી
ચેન્નાઈ: તમિલનાડુની રાજનીતિમાં આવેલો સંકટ વધી રહ્યો છે. હવે મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમની બાજુ વધુ મજબૂત થઈ રહી છે. કાલે મોડી રાત્રે સાતે વિધાયકો અને ચાર સાંસદ પણ હવે તેમના સમર્થનમાં આવી ગયા છે. ત્યારે શશિકલાએ સંકેત આપ્યા છે કે જો રાજ્યપાલે તેમની વાતનો જવાબ ન આપ્યો તો તે આજથી ધરણા કરશે. શશિકલાના ગ્રુપમાંથી નેતાઓ પન્નીરસેલ્વમના સમર્થનમાં આવ્યા છે. જે રીતે ઓ પન્નીરસેલ્વમ તરફી લોકો વધતા જાય છે તેનાથી શશિકલાની મુશ્કેલીઓ વધી રહી છે.
ગયા વર્ષે પાંચ ડિસેમ્બરના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું નિધન થયું હતું. પન્નીરસેલ્વમ જયલલિતાના સૌથી વફાદાર સહયોગી માનવામાં આવે છે. જે પછી પન્નીરસેલ્વમને સીએમ બનાવાયા હતા. પન્નીરસેલ્વમના પિતા એમજી રામચંદ્રન માટે કામ કરતા હતા. અને જયલલિતા પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના ઘણા નજીક હતા. પન્નીરસેલ્વમ થેવર સમુદાયમાંથી આવે છે. તે દક્ષિણ તમિલનાડુમાં સારો પ્રભાવ ધરાવે છે. શશિકલા 25 વર્ષ પહેલા એક સાધારણ વીડિયો પાર્લર ચલાવતી હતી. શશિકલાની જયલલિતા સાથે 25 વર્ષથી સારી મિત્રતા હતી. એમજીઆરના મૃત્યુ બાદ જયલલિતાના મુશ્કીલ સમયમાં શશિકલાએ સાથ આપ્યો હતો. શશિકલા પર ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલે છે. હવે શશિકલા પન્નીરસેલ્વમને હટાવીને પોતે મુખ્યમંત્રી બનવા માગે છે. તેમનું કહેવું છે કે અમ્માના વારસાની હકદાર તે છે.
પન્નીરસેલ્વમની વધતી તાકતથી શશિકલા મૂંઝાયા છે. આથી તેમણે રાજ્યપાલને ચીઠ્ઠી લખીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાથે ધમકી પણ આપી છે કે જો રાજ્યપાલે જવાબ ન આપ્યો તો તે ઘરણા પર બેસી જશે. 235 સીટની તમિલનાડુ વિધાનસભામાં બહુમત માટે 118 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. હાલ એઆઈએડીએમકે પાસે 135 અને ડીએમકે પાસે 89 સીટ છે. પન્નીરસેલ્વમના ગ્રુપનો દાવો છે કે તેમની પાસે 50થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે શશિકલાએ લગભગ 94 ધારાસભ્યોને એક રિસોર્ટમાં બંધ કરીને રાખ્યા છે.
જેના પરિણામે શશિકલા પોતાના વિધાયકોને મળવા માટે મહાબલિપુરમ પાસે ગોલ્ડન બિચ રિસોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં એઆઈએડીએમકેના લગભગ 94 ધારાસભ્યોને એક રીતે બંધ કરીને રાખવામાં આવ્યા હતા. જેનાથી હોર્સ ટ્રેડિંગ ન થાય. બહારની દુનિયાથી તેમનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો. ધારાસભ્યોને મળ્યા બાદ શશિકલાએ આરોપ લગાવ્યો છે કે જાણી-જોઈને વાર કરવામાં આવી રહી છે. જેથી પાર્ટીમાં વિભાજન થઈ જાય. શનિવારે પાર્ટીના ઘણા મોટા નેતાઓ પન્નીરસેલ્વમના સમર્થનમાં આવી ગયા હતા. શુક્રવાર સુધી શશિકલાના ગ્રુપમાં રહેલા માફોઈ પંડિયારાજન જે પન્નીરસેલ્વમને અવસરવાદી ગણાવી રહ્યા હતા તે પણ હવે પન્નીરસેલ્વમના સપોર્ટમાં છે.