ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજથી રોજ સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મુસલમાનોમાં ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહ પ્રથાઓ પર બંધારણ બેન્ચ નિયમિત ધોરણે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણ બેન્ચ સાત અરજી પર સુનાવણી કરશે. જેમાંથી પાંચ અરજી મુસ્લિમ મહિલાઓએ કરી છે જેમાં મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને પડકાર આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે.
બંધારણ બેન્ચમાં ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર સાથે જસ્ટિસ કુરિયન જોસેફ,,જસ્ટિસ નરિમાન, જસ્ટિસ યુ.યુ લલિત અને જસ્ટિસ અબ્દુલ નજીર સામેલ છે. ગુરુવારની સુનાવણીમાં કોર્ટ સૌ પહેલા સુનાવણીના મુદ્દા નક્કી કરશે. કેન્દ્ર સરકાર, અરજદાર મહિલાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સહિત તમામ પક્ષકારો કોર્ટ સમક્ષ લેખિત દલીલો રજૂ કરી ચૂક્યા છે.
તેના આધારે સુપ્રીમકોર્ટ જાતે સવાલો નક્કી કરશે. તે સવાલો પર સુનાવણી દરમિયાન વિચાર કરવામાં આવશે. સુપ્રીમકોર્ટ પહેલા સ્પષ્ટતા કરી ચૂકી છે કે તે સમાન નાગરિક સંહિતાના મુદ્દે સુનાવણી કરી રહી નથી. માત્ર મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત પ્રથાઓની બંધારણીય કાયદેસરતા ચકાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ત્રણ તલાક પર પ્રતિબંધ લાદવાની પક્ષમાં છે. જ્યારે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દલીલ છે કે પ્રથાઓ ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવતી નથી.