શિવસેનાનો PM મોદી-અમિત શાહ પર કટાક્ષ, ‘જીત બીજેપીની, ચર્ચા રાહુલની’
શિવસેનાએ કહ્યું, ‘’ભાજપ મુશ્કેલીથી પાસ થઇને પણ ડિસ્ટિક્શનનો દેખાડો કરી રહી છે, આ દયનીય ચિત્ર છે. દેશના વડાપ્રધાને પણ છેલ્લે ગુજરાતની અસ્મિતાનું કાર્ડ રમવું પડ્યું.’’ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપ 99 તો કોંગ્રેસને 80 બેઠકો મળી છે, જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠકો મળી હતી. રાજ્યમાં ભાજપને આ વખતે 49.1 ટકા અને કોંગ્રેસના 41.5 ટકા વૉટ મળ્યા છે.
શિવસેનાએ સામનામાં લખ્યું છે, ‘’ગુજરાતમાં બીજેપીની જીત થઇ છે, જીત થવાની જ હતી. જશ્ન અને ઢોલ વાગવાની તૈયારી પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી, પણ આનંદ સાથે નાચી શકે એટલી મોટી જીત ભાજપને મળી છે શું?’’ આગળ લખ્યું છે, ‘’જીત ભાજપની થઇ છે પણ ચર્ચા રાહુલ ગાંધી તરફથી લગાવવામાં આવેલી છલાંગની થઇ રહી છે’’ એટલું જ નહી સામનામાં આગળ લખ્યુ છે, ‘’ગુજરાત અને હિમાચલ પ્રદેશની જીત માટે અમે ભાજપને અભિનંદન પાઠવીએ છીએ, આની સાથે કોંગ્રેસ પણ જે સફળતા મેળવી છે તે પણ મહત્વની છે. ગુજરાતમાં ભાજપને 150થી એકપણ ઓછી સીટ નહીં મળે એવું છાતી ઠોકીને કહેવામાં આવતું હતું, પણ 100નો આંકડે પહોંચતા પહોંચતા પાર્ટીના શ્વાસ અદ્ધર થઇ ગયા, સાદા શબ્દોમાં કહીએ તો હવા બદલાઇ નથી પણ હવા ધીમી પડી ગઇ છે.’’
નવી દિલ્હીઃ ગુજરાતમાં ભાજપની જીત પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર કટાક્ષ કર્યો છે. સામનાના એડિટોરિયલમાં શિવસેનાએ લખ્યું કે, ગુજરાતમાં બીજેપીની જીત થઇ છે પણ ચર્ચા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી લગાવવામાં આવેલી છલાંગની થઇ રહી છે. નોંધનીય છે કે, કોંગ્રેસે ગુજરાતમાં આ વખતે અગાઉના વર્ષ કરતાં વધુ બેઠકો જીતી છે.