મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શિવસેનાને ફટકો, ત્રણ મોટા નેતાઓ જોડાયા ભાજપમાં
શિવ સેનાને બીજો મોટો આંચકો મુલુંડમાં લાગ્યો હતો. મુલુંડના પ્રભાકર શિંદે છેક ૧૯૭૦થી ગાવહનપાડા વિસ્તારમાં શિવ સેનાના પાયારૂપ કાર્યકર અને નેતા હતા. વળી,પ્રભાકર શિંદેએ ૨૦૦૦માંપાલિકામાં શિવ સેનાના નેતા તરીકે પણ મહત્વની કામગીરી કરી હતી.આમ છતાં કેટલાક કારણોસર પ્રભાકર શિંદેના મનમાં પણ નારાજીનો નાનો પરપોટો રમતો હતો.જોકે નારાજીનો આ પરપોટો બરાબર પાલિકાની ચૂંટણી ટાણે જ મોટા સ્વરૂપે બહાર આવ્યો. એટલે કે પ્રભાકર શિંદેએ પણ અચાનક જ શિવ સેનાનો કિલ્લો છોડીને ભાજપના મહેલમાં પ્રવેશ કરી લીધો છે.
શિવ સેનાને પહેલો અને સૌથી મોટો આંચકો તેના ગઢ સમા પરેલ વિસ્તારમાં લાગ્યો હતો. સતત બે મુદત સુધી નગરસેવક રહી ચૂકેલા અને દિગ્ગજ નેતા ગણાતા નાના આંબોળેએ ગુરુવારે જ શિવ સેનાસાથે છેડો ફાડીને ભારતીય જનતા પક્ષમાં જોડાઇ ગયા છે. નાના આંબોળેની ઘેરી નારાજીના મૂળમાં સ્થાનિક વિધાનસભ્ય અજય ચૌધરી હોવાની ચર્ચા થઇ રહી છે. એટલે કે નાના આંબોળે અને અજય ચૌધરી વચ્ચે ઘણા સમયથી જુદા-જુદા મુદ્દે મતભેદો હતા. અધૂરામાં પૂરું પાલિકાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી બાબતમાં પણ બંને વચ્ચે મોટો વિખવાદ થયો હતો.
મુંબઇ અને મહારાષ્ટ્રમાં ભાજપ સાથેની છેલ્લાં ૨૫ વર્ષની રાજકીય દોસ્તીનો છેડો ફાડી નાખનારા ઉદ્ધવ ઠાકરેને ત્રીજો આંચકો ગોવંડીમાં લાગ્યો હતો. ગોવંડીના નગરસેવક રહી ચૂકેલા દિનેશ પાંચાળ પણ એક કે બીજાં કારણોસર શિવ સેનાથી નારાજ હોવાથી તેણે પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે.જોકે ભાજપે ખુદ દિનેશ પાંચાળને નહીં પણ તેની પત્નીને ટિકિટ આપવાની ખાતરી આપી હોવાના અહેવાલો જાણવા મળે છે.
મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીનાં નજીક આવી રહી છે. બીજી બાજુ શિવ સેનામાં ભારેલો અગ્નિ ભભૂકી ઉઠયો છે.ગુરુવારે શિવ સેનાએ તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેની સાથે જ પક્ષમાં જાણે કે બળવો શરૂ થઈ ગયો છે. શિવ સેનાને એક જ દિવસમાં વારાફરતી ત્રણ મોટા આંચકા લાગ્યા હતા. શિવ સેનાના ત્રણ મહત્વના નેતાઓએ ધનુષ છોડીને ભાજપનું કમળ હાથમાં લીધું છે. સેનાનાં અમુક નેતાઓની ઉમેદવારી સામે પણ સ્થાનિક શિવ સૈનિકોએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હોવાના અહેવાલો મળે છે. બળવાખોરીનો આ નાનકડો તિખારો શિવ સેનામાં મોટાપાયે ફેલાય તો ચૂંટણીનાં પરિણામો પર ઘેરી અસર થાય તેવો અંદેશો પણ પક્ષની નેતાગીરીને આવી ગયો હોવાનું પણ જાણવા મળે છે.