મુંબઈઃ રેલવે બ્રિજ પર મચી નાસભાગ, 22 લોકોના મોત, PM- રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ
મુંબઈઃ મુંબઈના પરેલ એલફિંસ્ટન રેલવે બ્રિજ પર નાસભાગ મચી ગઈ છે. આ નાસભાગમાં 22 લોકોના મોત થયા છે. અંદાજે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલને નજીકની કેએમ અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ નાસભાગ ત્યારે મચી જ્યારે બ્રિજ પર ઘણાંબધા લોકો હતા.
રેલવે મંત્રી ગોયલે જણાવ્યું હતું કે, ઘટનાથી હું દુખી છું અને જે પરિવારના લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે તેમના પ્રત્યે હું સાંત્વના વ્યક્ત કરું છું. પશ્વિમ રેલવેના મુખ્ય સુરક્ષા અધિકારી મારફતે તપાસના આદેશ અપાયા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કેઇએમ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે ઘટનામાં ઘાયલોની મુલાકાત કરી હતી. રાજ્ય સરકારે ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ સહાયની જાહેરાત કરી હતી.
રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાનું કહેવું છે કે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે દુર્ઘટના શા કારણે થઈ છે. પરંતુ વરસાદને કારણે બ્રિજ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હતા. વેસ્ટર્ન રેલવેના પીઆરઓ નિતિન ડેવિેડે કહ્યું કે, ઘટના સવારે 9.30 કલાકે ઘટી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર આ ઘટનામાં 22 લોકોના મોત થયા છે જેમાંથી કેટલાકના મોત તો ઘટનાસ્થળે જ થયા હતા. આ ઘટના બાદ રેલવે પ્રધાન પિયુષ ગોયલ પણ મુંબઈ પહોંચ્યા છે.