અયોધ્યા વિવાદ અંગે સ્વામી બોલ્યા- મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ માન્ય રાખે, નહિ તો 2018માં આવશે કાયદો
બુધવારે સવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યુ છે કે સરયૂ નદીની પાર મસ્જિદ બનાવવાના મારા પ્રસ્તાવને મુસ્લિમ સમાજે માન્ય રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવનો તેઓ અસ્વીકાર કરશે તો વર્ષ 2018માં રાજ્યસભામાં બહુમત બાદ રામ મંદિરના નિર્માણનો કાયદો આવશે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાની રહેશે. કોર્ટે રામ મૂર્તિ વાળો ભાગ રામલલા વિરાજમાનને, રામ ચબૂતરા અને સીતા રસોઈનો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમે આ મામલો કોર્ટ બહાર ઉકેલવાની સલાહ આપી છે.
નવી દિલ્લી: અયોધ્યા મંદિર વિવાદ પર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ સ્વીકારી લે નહિ તો 2018માં રાજ્યસભામાં ભાજપની બહુમતી હશે તો કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંગળવારે જ સુપ્રીમ કોર્ટે આ અંગે વાતચીત કરીને સમાધાન કરવાની સલાહ આપી હતી.
મંગળવારે સુપ્રીમના ચીફ જસ્ટિસ ખહેરે કહ્યું હતું કે આ મામલો સંવેદનશીલ છે. આ પ્રકારના કેસમાં આંતરિક સહમતિથી નિર્ણય થવો જોઈએ. જો બંને પક્ષ વાતચીત કરવા તૈયાર હોય તો મધ્યસ્થી તરીકે હું પોતે તૈયર છું. સુપ્રીમ કોર્ટની આ સલાહનો ભાજપ અને સરકાર બંનેએ સ્વીકાર કર્યો છે. પણ બાબરી મસ્જિદ એક્શન કમિટીએ કહ્યું છે કે કોર્ટ બહાર તેમને ન્યાય મળશે તે વાત પર તેમને જરાય વિશ્વાસ નથી. આથી સુપ્રીમ આ અંગે અંતિમ નિર્ણય કરે. એટલે કે અયોધ્યા વિવાદ ફરી છ વર્ષ પહેલા હતો ત્યાં આવી ગયો છે. ઈલાહાબાદ હાઈકોર્ટે આ અંગે છ વર્ષ પહેલા ફેસલો આપ્યો હતો.