દહેજ ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટે કર્યો બદલાવ, હવે પતિની થઈ શકે છે તાત્કાલિક ધરપકડ
સુપ્રીમના બે જજોની બેંચે ગયા વર્ષે આપેલા જજમેન્ટમાં જણાવ્યું હતું કે દહેજ કેસમાં સીધી ધરપકડ નહી થાય, જોકે ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાનીમાં ત્રણ જજોની બેંચે તેમાં પરિવર્તન કર્યું છે.
દહેજના કેસમાં તાત્કાલિક ધરપકડ કરવા પર લગાવાયેલી પાબંધી હટાવતા કોર્ટે કહ્યું પીડિતની સુરક્ષા માટે આમ કરવું જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે આરોપી માટે આગોતરા જામીનનો રસ્તા ખુલ્લો છે.
કલમ 498A હેઠળ દહેજના કેસમાં પરિણિત મહિલા પતિ તેમજ તેના સંબંધીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદાની કડક બાજુ એ છે કે તે અત્યાર સુધી બિનજામીનપાત્ર હતો.
નવી દિલ્હી: દહેજ ઉત્પીડનની ફરિયાદ પર તાત્કાલિક ધરપકડ રોકવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે બદલાવ કર્યો છે. હવે ફરિયાદને સમીક્ષા માટે ફેમિલિ વેલફેયર કમિટી પાસે નહી મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણયમાં મોટો બદલાવ કરતા પતિની તુરંત ધરપકડનો રસ્તો સાફ કરી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદનો ઉકેલ લાવવા પરિવાર કલ્યાણ કમિટીની જરૂર નથી. હવે જરૂરી નથી કે ફરિયાદ દાખલ થતાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે પરંતુ તપાસ અધિકારીને જરૂર લાગે તો તેઓ તાત્કાલિક ધરપકડ કરી શકે છે.