સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક ચુકાદોઃ ‘ટ્રીપલ તલાક’ની પ્રથા ખતમ, ગેરબંધારણીય જાહેર
સુપ્રીમ કોર્ટનો ઔતિહાસીક ચુકાદોઃ ‘ટ્રીપલ તલાક’ની પ્રથા ખતમ, ગેરબંધારણીય જાહેર
સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં તમામ ધર્મોના જજ સામેલ છે જેમાં ચીફ જસ્ટિસ જેએસ ખેહર (સિખ), જસ્ટિસ કુરિયન જોસેફ (ક્રિશ્ચિયન), જસ્ટિન રોહિંગ્ટન એફ નરીમન (પારસી), જસ્ટિસ યૂયૂ લલિત (હિન્દૂ) અને જસ્ટિસ અબ્દુલ નજીર (મુસ્લિમ) સામેલ છે. આ અંગેની સુનાવણી દરમિયાન પાંચ જજોની બંધારણીય બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રીપલ તલાકને અયોગ્ય માને છે તો એ માટે પોતે જ કાયદો કેમ બનાવતી નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને લગ્ન જીવનના વિચ્છેદ માટેની અત્યંત નિમ્ન કક્ષાની પ્રથા ગણાવેલી છે.
ચીફ જસ્ટિસ જેએસ ખેહરની બનેલી પાંચ જજોની અધ્યક્ષતામાં ૧૮મી મેના રોજ સુપ્રીમ કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમોમાં બહુપત્નીત્વની પ્રથાને તલાક સાથે જોડવા અંગેનો ઈનકાર કર્યો હતો. ખેહર ઉપરાંત આ કેસની સુનાવણીમાં જસ્ટિસ કુરિયન જોસેફ, આર એફ નરીમાન, યુયુ લલિત અને એસ અબ્દુલ નાઝર છે. સુપ્રીમ પાંચ મુસ્લિમ મહિલાઓ દ્વારા ટ્રીપલ તલાકના મામલે દાખલ કરેલી પિટિશનને જોડીને લાંબી સુનાવણી બાદ આ ચુકાદો જાહેર કરનાર છે. અરજકર્તાઓએ તેમની પિટિશનમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ટ્રીપલ તલાકની પ્રથા ‘ગેરબંધારણીય’ છે.
સુપ્રીમ કોર્ટે આ સાથે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને પણ સવાલ કર્યો હતો કે શું નિકાહનામામાં એવી શરત સામેલ કરી શકાય કે મહિલા ત્રણ તલાકનો સ્વીકાર નહીં કરે. આ અંગે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે જો બોર્ડ એવી સલાહ જારી કરે તો પણ એ વાતની ગેરંટી નથી કે નીચલા સ્તરે કાઝી તેનો અમલ કરે. આમ છતાં બોર્ડના સભ્યો આ સૂચન અંગે ચર્ચા કરશે. જ્યારે કોર્ટમાં સરકારનો પક્ષ રજૂ કરનાર એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આ મુદ્દાને બહુમતી વિરૂદ્ધ લઘુમતીનો મુદ્દો બનાવવાની કોશિશ અયોગ્ય છે. આ મહિલાઓ લઘુમતી સમુદાયમાં પણ ‘લઘુમતી’ સંખ્યામાં છે. તેઓ પીડિત છે અને આ વાત તેમના અધિકારની છે. રોહતગીએ કહ્યું હતું કે ત્રણ તલાકને ગેરકાયદે જાહેર કરાય તો તેનાથી ઈસ્લામ પર કોઈ અસર નહીં પડે.