વિકાસ મફતમાં ન મળે, તેના માટે કિંમત ચૂકવવી પડેઃ જાણો કેન્દ્રના ક્યા દિગ્ગજ નેતાએ કર્યું આ નિવેદન
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ રવિવારે નેશનલ એકેડમી ઓફ કસ્ટમ એક્સાઇઝ એન્ડ નાર્કોટિક્સના સ્થાપના દિને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જે લોકો દેશના વિકાસની માગ કરે છે તેમણે તે માટે કિંમત પણ ચૂકવવી જોઈએ, જોકે કરદાતા દ્વારા ચૂકવાતા ટેક્સનો પ્રમાણિકતાથી ખર્ચ થવો જોઈએ. જેટલીએ જણાવ્યું હતું કે, મહેસૂલી આવક શાસનની જીવાદોરી છે. મહેસૂલી આવક જ ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવશે.
જેટલીએ જણાવ્યું હતું કે, અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યું છે અને ભારત અત્યારે પરોક્ષ કરમાળખાની વ્યવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. પ્રત્યક્ષ કર દેશના અમીરો દ્વારા ચૂકવાય છે પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સનો બોજો દેશના દરેક નાગરિક પર પડે છે, તેથી જ અમે અમારી આર્થિક નીતિમાં ધ્યાન આપી રહ્યા છીએ કે, પાયાની જરૂરિયાતની વસ્તુઓ પર ઓછામાં ઓછો કરવેરો હોય.
જેટલીએ જણાવ્યું હતું કે, સમાજમાં કરદાતા ન હોવાની વધુ ચિંતા કરાતી નથી. હવે લોકો સમયની સાથે ટેક્સ ચૂકવવા આગળ આવી રહ્યાં છે, તેને કારણે જ સરકારે વિવિધ કરવેરા સમાપ્ત કરીને જીએસટીનો અમલ કર્યો છે. એક વાર આ સ્થાપિત થઈ ગયા બાદ વધુ સુધારા કરવાની તક આપણી પાસે હશે. એક વાર મહેસૂલી આવક સ્થિર થઈ ગયા પછી આપણે વધુ સારા સુધારા માટે વિચારણા કરી શકીશું.
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ફરી એક વખત પોતાના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે જે લોકોને વિકાસ જોઈતો હોય તેઓ તેની કિંમત ચૂકવે. જેટલીએ કહ્યું કે જે પણ દેશમાં જેને પણ વિકાસ જોઈતો હોય તેઓએ તેની કિંમત તો ચૂકવવી જ પડશે અને આ નાણાંનો ખર્ચ પણ ઇમાનદારીથી કરવામાં આવે તે પણ જરૂરી છે.